જે જે હરિએ કર્યું હેત, એવું કરે કોણ આપણે રે ।।
માત તાત સગાં સમેત, માન્યા સનેહી ભોળાપણે રે ।। ૧ ।।
જોને ગર્ભવાસની ત્રાસ, ટળે કેમ ટાળી કોઈની રે ।।
તે પણ ટાળીને અવિનાશ, રાખે ખબર અન્ન તોયની રે ।। ૨ ।।
વળી સમે સમે સંભાળ, જાણો કરે હરિજનને રે ।।
બીજુ એવું કોણ દયાળ, કાં રે મનાય નહિ મનને રે ।। ૩ ।।
એમ સમજયા વિના જન, આવે ઉન્નમત્તાઈ અંગમાં રે ।।
કહે નિષ્કુળાનંદ વચન, પછી મન માને કુસંગમાં રે ।। ૪ ।।