એવા સંત તણી ઓળખાણ, કહું સહુ સાંભળો ।।
પછી સોંપી તેને મન પ્રાણ, એ વાળે તેમ વળો ।। ૧ ।।
જેના અંતરમાં અવિનાશ, વાસ કરી વસિયા ।।
તેણે કામ ક્રોધ પામ્યા નાશ, લોભ ને મોહ ગયા ।। ૨ ।।
એવા શત્રુતણું ટળ્યું સાલ, લાલ જયાં આવી રહ્યા ।।
તેણે સંત થયા છે નિહાલ, પૂરણ કામ થયા ।। ૩ ।।
એવા સંત જે હોય સંસાર, શોધીને સેવીજિયે ।।
કહે નિષ્કુળાનંદ નિરધાર, તો લાભ તે લીજિયે ।। ૪ ।।