રાગ-ગરબી ‘સજયા શણગાર શોભતા રે, આજ સખી વ્રજરાજ’

કઠણ  વચન  કહું  છું  રે,  કડવા  કાંકચ્ય   રૂપ ।।

દરદીને  ગોળી  દઉં  છું  રે,  સુખ  થાવા  અનુપ ।। ૧ ।।

ખરે મને જે જન ખાવશે રે, આવું જે ઔષધ ।।

જીરણ  રોગ તેનો જાવશે રે, સુખી થાશે સદ્ય ।। ૨ ।।

પણ બીક રહે છે બોલતાં રે, સાચી દેતાં શિખ ।।

ખરાં છિદ્ર  કેના ખોલતાં રે, વવાઈ જાશે વિખ ।। ૩ ।।

દેહમાનીને  દિલમાં  રે,  સુણતાં  જાશે  સુખ ।।

પ્રજળશે   તેહ  પળમાં  રે,  દાજયે  થાશે  દુઃખ ।। ૪ ।।

માટે કહું ન કહું કોઈને રે, એમ આવે વિચાર ।।

નિષ્કુળાનંદ વિચારી જોઈને રે, પછી કરું ઉચ્ચાર ।। ૫ ।।