રાગ-ગરબી ‘સજયા શણગાર શોભતા રે, આજ સખી વ્રજરાજ’
કઠણ વચન કહું છું રે, કડવા કાંકચ્ય રૂપ ।।
દરદીને ગોળી દઉં છું રે, સુખ થાવા અનુપ ।। ૧ ।।
ખરે મને જે જન ખાવશે રે, આવું જે ઔષધ ।।
જીરણ રોગ તેનો જાવશે રે, સુખી થાશે સદ્ય ।। ૨ ।।
પણ બીક રહે છે બોલતાં રે, સાચી દેતાં શિખ ।।
ખરાં છિદ્ર કેના ખોલતાં રે, વવાઈ જાશે વિખ ।। ૩ ।।
દેહમાનીને દિલમાં રે, સુણતાં જાશે સુખ ।।
પ્રજળશે તેહ પળમાં રે, દાજયે થાશે દુઃખ ।। ૪ ।।
માટે કહું ન કહું કોઈને રે, એમ આવે વિચાર ।।
નિષ્કુળાનંદ વિચારી જોઈને રે, પછી કરું ઉચ્ચાર ।। ૫ ।।