કેને દુઃખ દેવાનો દિલમાં રે, ભૂલ્યે ભૂંડો ભાવ નથી ।।
પર ઉપકારે પળપળમાં રે, ઊપજે ઇચ્છા અંતરથી ।। ૧ ।।
પંચ વિષયને પરહરીને રે, વરતે છે વણ વિકારે ।।
તેહ જણાય જોવે કરીને રે, જન એ બોલે છે જયારે ।। ૨ ।।
વણ વિચારે પણ વાતું રે, આવે એના અંતરથી ।।
બોલે અહં મમતાનું ઘસાતું રે, ઊતર્યું મન તન સુખ પરથી ।। ૩ ।।
એવા કયાંથી મળે જન એકે રે, નિર્મળ અંતર નિષ્કામી ।।
કહે નિષ્કુળાનંદ વિવેકે રે, બીજા બહુ હોય હરામી ।। ૪ ।।