જેનું તન મન માન્યું ત્યાગે રે, ભકિત ધર્મ ભાવે છે ।।
તેના વચન વીંટ્યાં વૈરાગે રે, અંતરમાંથી આવે છે ।। ૧ ।।
શીલ સંતોષ ને વળી શાંતિ રે, એમા રહીને બોલે છે ।।
ધીરજતા કહી નથી જાતી રે, જ્ઞાન ધ્યાનમાં ડોલે છે ।। ૨ ।।
એવા સંત સહુના સગા રે, પરઉપકારી પૂરા છે ।।
જેના દલમાં નહિ કોય દગા રે, સત્ય વાતમાં શૂરા છે ।। ૩ ।।
વળી હેત ઘણું છે હૈયે રે, આંખ્યે અમૃત વરસે છે ।।
કહે નિષ્કુળાનંદ શું કહિયે રે, એ જન જોઈ હરિ હરખે છે ।। ૪ ।।