વણ સાધુનો વરતારો રે, આ પદ સુણતાં ઓળખાશે ।।
પછી શોધી સમાગમ સારો રે, તે સાથે પ્રીતિ થાશે ।। ૧ ।।
તેહ વિના મન નહિ માને રે, બીજે દલડું નહિ બેસે ।।
કાયરની વાતો કાને રે, સાંભળી પંડ્યમાં નહિ પેસે ।। ૨ ।।
આંખ્ય અંતરની ઊઘડશે રે, પડશે પારખું પોતાને ।।
ખરા ખોટાની ગમ પડશે રે, જડશે વાતો એ જોતાને ।। ૩ ।।
પછી સંત અસંત એક પાડે રે, નહિ દેખે તે કોઈ દને ।।
કહિ નિષ્કુળાનંદ શું દેખાડે રે, જાણશે જેમ છે તેમ મને ।। ૪ ।।