એવા જનની ઉપર હરિ, રાજી છે રાધિકાપતિ રે ।।

જેણે ભકત ભાવેશું કરી, ફરે નહીં કે દી મતિ રે ।। ૧ ।।

શરીરના સુખ સર્વે ત્યાગી, વાધી પ્રભુ સાથે પ્રીતિ રે ।।

જેની લગની લાલશું લાગી, તે તો રહ્યા જગ જીતિ રે ।। ૨ ।।

કપટ રહિત કૃષ્ણની સેવા, જાણજયો જે જને કરી રે ।।

પ્રભુના પદને પામિયા એવા, આ ભવજળ ગયા તરી રે ।। ૩ ।।

તેમા સંશય લેશ મ લાવો, પૂરણ પ્રતીતિ આણો રે ।।

નિષ્કુળાનંદ કહે નિરદાવો,  જેના જીવમા જાણો રે ।। ૪ ।।