મન તું ને સમજાવવા સારુ, કહ્યું મેં વારમવાર રે ।।

તેં તો ગમતું ન તજિયું તારું, ગઈ શિખામણ ગમાર રે ।। ૧ ।।

જે જે વાત કરી તુજ સાથે, તે તો તેં રતી ન રાખી રે ।।

ખોટ્ય આવવા ન દીધી માથે, લઈ બીજા પર નાખી રે ।। ૨ ।।

કહો ખોટ્ય ટળે કેમ તારી, નિજ દોષને ન દેખે રે ।।

એથી ભૂલ્ય બીજી કઈ ભારી, સહુથી સરસ આપ લેખે રે ।। ૩ ।।

કહેનારાને કહેવા ન રહ્યું, તેં ન ધર્યું જયારે કાન રે ।।

નિષ્કુળાનંદ કહે તુંને શિયું, તારે તો બીજું છે તાન રે ।। ૪ ।।