સોરઠા:-

સમરું શ્રીઘનશ્યામ, મંગળ  કરવા માહેરું ।।

અમૃતપદ  એ  નામ, અમંગળ  અળગું  કરે ।। ૧ ।।

ધર્ય થકી  ધરિયે ધ્યાન, પ્રગટ  પુરુષોત્તમતણું ।।

નિર્વિઘ્ન હોય  નિદાન, વિઘ્ન સર્વે વિરમે  વળી ।। ૨ ।।

દોહા :-

અતિ ઝીણી છે આ કથા, કહે ન સમજે કોય ।।

સો સંક્ષેપે  સૂચવું, મતિ  દિયો એવી  મોય ।। ૩ ।।

વારમવાર  વિનય કરી, કરું કથા ઉચ્ચાર ।।

મતિ  અતિ પોં’ચે નહિ, તે પોં’ચાડો તમે પાર ।। ૪ ।।

સદ્ગુરુ  શિષ્ય  સંવાદ શું, કરું કથા પ્રકાશ ।।

જે સુણતાં શુદ્ધ શિષ્યને, હોય હૃદય તમ નાશ ।। ૫ ।।

શિષ્ય  ઉવાચ :- દોહા :-

શિષ્ય કહે સદ્ગુરુ સુણો, પૂછું  છું લાગી પાય ।।

મૂર્તિ જોવા મહારાજની, ઇચ્છુ  છું હું ઉરમાંય ।। ૬ ।।

દિન બહુનો  દાખડો, કરું  છું કૃપાનિધાન ।।

પણ  આજ સુધી અંતરમાં, ભાળ્યા નહિ ભગવાન ।। ૭ ।।

જેમ   કહો   તેમ   કરું,   હાથ જોડી રહું હજૂર ।।

દીનબંધુ  દયા  કરો, તો હરિ દેખાય ઉર ।। ૮ ।।

અંતર મારું  અણોસરું, વણ  દીઠે વ્રજચંદ ।।

જયારે  દેખું  જગપતિ, ત્યારે  સુખ આનંદ ।।૯।।

એમ શિષ્ય સદ્ગુરુને કહે, અરજી એહ મહારાજ ।।

અંતરમાં ઇચ્છા  ઘણી, નાથ  નીરખવા કાજ ।।૧૦।।

સદ્ગુરુ  ઉવાચ :- દોહા :-

સદ્ગુરુ  કહે શીદ કરે, અમથો શિષ્ય ઉમંગ ।।

સાંભળ્ય  તારાં  સંબંધી, કેને  છે  સતસંગ  ? ।।૧૧।।

મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે, તે કહિયે કુસંગી ચાર ।।

ત્યાં જોવા ઇચ્છે જગદીશને, તું કરી કોણ વિચાર ।।૧૨।।

શ્રવણ ત્વચા દ્રગન દોય, રસના નાસા નેક ।।

કહિયે  પંચ એ કુસંગી, કર્ય  તું હૈયે વિવેક ।।૧૩।।

તેમાં જોવા ઇચ્છે જગપતિ, શું સમજી તું સુજાણ ।।

મલિન મંદિરમાં હરિ, ન દરશે કે  દી નિરવાણ ।।૧૪।।

શિષ્ય  ઉવાચ :- દોહા :-

શિષ્ય  કહે  સમજયો  નહિ,  કહું  કુસંગી તે કોયે ।।

સમજયો સર્વે સતસંગી, એમ  મનાણું  મોયે ।।૧૫।।

વણ  સમજયે  વરત્યાં  નહિ,  ઘરના  ઘાતક  એહ ।।

અભાવ એનો નથી આવતો, સમજું  છું  પરમ સનેહ ।।૧૬।।

અવગુણ એના ઓળખાવિયે,  કહું કૃપાનિધાન ।।

દગો એનો હું દેખીને, સમજી  રહું સાવધાન ।।૧૭।।

મેં   જાણ્યું એહ   માહેરાં,   હેતુ છે જો હમેશ ।।

સનેહીમાં  શત્રુપણું, મેં લયું  નહિ  લવલેશ ।।૧૮।।

જેમ  છે  તેમ  જણાવિયે,  આપી  શિખામણ  સાર ।।

ડહાપણમાં  દીઠું નહિ, આભ  સમ અંધાર ।।૧૯।।

સમજી શાણો આપને, કરે  બીજાની હાસ ।।

મોટો મૂરખ નિસર્યો, જયારે  કર્યો તપાસ ।।૨૦।।

પરને બહુ પરમોદિયા, કર્યા  સતસંગી કોટ્ય ।।

વૃત્તિ ન વાળી અંતરે, કહો ટળે કેમ ખોટ્ય ।।૨૧।।

અરિતા  અંતઃકરણની,  પંચ  ઇંદ્રિય  જે  પૈશૂન્ય ।।

એટલું  મને  ઓળખાવીએ,  એમ  કહી  રહ્યો  શિષ્ય  મૂન્ય ।।૨૨।।

સદ્ગુરુ  ઉવાચ :- દોહા :-

તૈયે  સદ્ગુરુ  કહે  નથી  જાણતો,  તું  શિષ્ય  અજ્ઞાની  જોર ।।

ઓળખાવું  એકો એકને, ચોખાં છે જેહ ચોર ।।૨૩।।

મનની ચોરી મોર્યથી, કહું કાંયેક નિરધાર ।।

પદાર્થ બહુ પ્રભુ  વિના, રાખ્યાં  હૃદય  મોઝાર ।।૨૪।।

સંકલ્પે  સૃષ્ટ સબે  આણી વસાવી  ઉર ।।

કહો  હરિ કિયાં  રહે,  ભીંતર  છે  ભરપૂર ।।૨૫।।

સર નદી વાપી  કૂવા, સિંધુ  સાતે  દ્વીપ ।।

સંકલ્પે  સર્વે એહ,  મન  દેખાડે  સમીપ ।।૨૬।।

દેશ  વિલાયત   નગર  પુર,  ગામ ઘોષ વનવાટ ।।

આણી ભર્યા એહ અંતરે, ગિરિ ગહ્વર ઘર ઘાટ ।।૨૭।।

જે  જે  વસ્તુ  જગતમાં,  તે  ઘાલી  ગોતી  ઘરમાંય ।।

અવિનાશી   રહે   એટલી,   નથી   જાયગા કયાંય ।।૨૮।।

સારાસાર સમજે નહિ, લૈ લાવે છે ઝડી   ઝોટ્ય ।।

સંકલ્પ સુખ દુઃખના, કરે રાત  દિન  કોટ્ય ।।૨૯।।

જે જે  વિલોકે વસ્તુને,  તેમાં  થાય  તદ્રૂપ ।।

રગરગમાં રમી રહે,  સુખદ  દુઃખદ સ્વરૂપ ।।૩૦।।

દામ દામ સમરે દામને, ભામ ભામ સમરે ભામ ।।

કામ કામ સમરે કામને, ધામ ધામ  સમરે  ધામ ।।૩૧।।

સુખ સુખ સમરે સુખને, દુઃખ દુઃખ સમરે દુઃખ ।।

ભૂખ ભૂખ સમરે ભૂખને, એહવો જ મન વિમુખ ।।૩૨।।

નિમિષ એક નવરો નહિ, સંકલ્પ  કરતાં  સોય ।।

જાગ્રત સ્વપ્ન સર્વમાં, દીધી છે  દોરી  પ્રોય ।।૩૩।।

જડે ન જોયે જાયગા, કહો હરિ રહે કોણ ઠામ ।।

શિષ્ય  તું સમજયા  વિના,  હૈયે  ન  કરિયે  હામ ।।૩૪।।

સર્વે  સંકલ્પ  સુખના,  કરતાં આવે  સ્વાદ ।।

એક સંકલ્પ  હરિતણો,  નેક  થયો નિરસ્વાદ ।।૩૫।।

ભૂંડી  વસ્તુ  ભીતરે,  આણી ભરી  અનેક ।।

રૂંધી  હૃદયે  રાખિયો,  એવો નરસો  નેક ।।૩૬।।

તેને તેં   ઓળખ્યો   નહિ,   જાણ્યો   પરમ  સ્નેહ ।।

જો વિચારી  શિષ્ય તું, અરિ કહે તું  એહ ।।૩૭।।

સોરઠા:-

સમજયા વિના સુજાણ, સુખ ન હોય કોઈ દને ।।

સો નકી વાત નિરવાણ, જાણી લહે તું શિષ્ય સહી ।।૩૮।।

ઇતિ શ્રીહૃદયપ્રકાશમધ્યે સદ્ગુરુશિષ્યસંવાદે પ્રથમઃ પ્રસંગઃ ।।।।