શિષ્ય ઉવાચ :- દોહા :-
શિષ્ય કહે સદ્ગુરુ સુણો, કહી કૃપા કરી વાત ।।
જે જે મે પૂછિયું, તે કહ્યું તમે બહુ ભાત ।। ૧ ।।
શત્રુ સર્વે શોધીને, દેખાડ્યા દગાદાર ।।
દીપક દીધો હાથમાં, અળગું કર્યું અંધાર ।। ૨ ।।
કોટી કોટી કૃપા કરી, ખોટ દેખાડી ખોળ્ય ।।
અણસમજે લઈ એકઠી, ભેળી કરી’તી ભોળ્ય ।। ૩ ।।
તે જેમ છે તેમ જણાવિયું, અજાણ્યું ન રહ્યું એક ।।
હવે હું ચેતું નહિ, તો એ મારો અવિવેક ।। ૪ ।।
અણસમજુને એટલી, આપે શિખામણ કોણ ।।
પરમ હેતુ છો માહેરા, તે જોયું સહુ મેં જોણ ।। ૫ ।।
વળી પૂછું એક વારતા, દોય હરિના દાસ ।।
એક દેખે હૈયે હરિ મૂરતિ, અને એકને બહુ વિશ્વાસ ।। ૬ ।।
એહ બેઉ બરોબરી, પામે પ્રાપતિ એક ।।
કે ફેર છે કાંઈ ફળમાં, એ સદ્ગુરુ કહો વિવેક ।। ૭ ।।
સદ્ગુરુ ઉવાચ :- દોહા :-
ત્યારે સદ્ગુરુ બોલિયા, સાંભળ્ય શિષ્ય સુજાણ ।।
જેને ભરોંસો ભગવાનનો, તેનું એ પરમ કલ્યાણ ।। ૮ ।।
જેમ પારસના સ્પર્શથી, લોહપણું ન રહે લગાર ।।
તેમ પ્રભુ સ્પર્શ પ્રતાપથી, વામે સર્વ વિકાર ।।૯।।
જડ માંહી પણ જાણવો, એટલો ચમતકાર ।।
ચૈતન્યઘનમય મૂરતિ, તે મળતાં સુખ અપાર ।।૧૦।।
માટે ન્યૂન ન માનવું, રે’વું આનંદમાં અભિરામ ।।
જેને મળ્યા પ્રગટ પ્રભુ, તે સહુ છે પૂરણકામ ।।૧૧।।
હવે જેને ઉર અખંડ રહે, હરિમૂર્તિ હૈયા મોઝાર ।।
તેની વાત વર્ણવી, કહું હૃદયમાં ધાર ।।૧૨।।
જેમ પામે કોય ચિંતામણિ, તે જે ચિંતવે તે થાય ।।
તેમ જેને ઉર મૂરતિ રહે, તે દેખે જે જે ચા’ય ।।૧૩।।
તે ઇચ્છે જો અમરાવતી, કે ઇચ્છે જો કૈલાસ ।।
બ્રહ્મલોક ઇચ્છે વૈકુંઠને, તો દેખે સમીપે દાસ ।।૧૪।।
શ્વેતદ્વીપ ગોલોકને, ઇચ્છે જો અક્ષરધામ ।।
દેખી દગે પોતા તણે, માને પૂરણકામ ।।૧૫।।
વળી રે’વાસી એ ધામના, તેહને દેખે તેહ ।।
અગમ ન રહે એહને, જુવે ચિંતવી જેહ ।।૧૬।।
જો જોવા ઇચ્છે મુકતને, તો દેખે મુકતમંડળ ।।
સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, ન રહે કોઈ અકળ ।।૧૭।।
જો ઇચ્છે જોવા અવતારને, દશ ચોવીસ અનંત ।।
તો નીરખે સહુને નજરે, આવે સુખ અત્યંત ।।૧૮।।
એમ એને અંતરે, વરતે સુખ અપાર ।।
તે પ્રતાપ પ્રગટ પ્રભુનો, જન જાણે નિરધાર ।।૧૯।।
મોટો પ્રતાપ મહારાજનો, જીભે કહ્યો ન જાય ।।
અસામર્થી એમાં નથી, જેહ ધારે તેહ થાય ।।૨૦।।
પણ જેમ જેને રાખ્યું ઘટે, તેહને રાખે તેમ ।।
માટે સુખદ સહુના, કહિયે દુઃખદ કેમ ।।૨૧।।
એમ જાણી જન મનમાં, રાખે વડો વિશ્વાસ ।।
મેલી ગમતું મનનું, થઈ રહે હરિદાસ ।।૨૨।।
વૈદ્ય જેમ બહુ વિધિયે, આપે ઔષધ અનેક ।।
સહુ રોગીને સરખું, ઔષધ ન હોય એક ।।૨૩।।
સમાધિ સખા સ્નેહનું, દાસ વિશ્વાસનું અંગ ।।
માહાત્મ્ય મિત્ર વચન વળી, ભકત ભજન અભંગ ।।૨૪।।
એ સર્વે અંગ શિરોમણિ, પામે પદ નિરવાણ ।।
અધિક ન્યૂન એમાં નહિ, સમજી લે તું સુજાણ ।।૨૫।।
પ્રગટ પ્રભુ મળ્યા પછી, ઓછપ ન માનવી અંગ ।।
સહુ સરખું પામશે, અખંડ સુખ અભંગ ।।૨૬।।
શિષ્ય જે જે તેં પૂછિયું, તે કહ્યું કરી વિસ્તાર ।।
હજી હોય કાંઈ પૂછવું, તો પૂછ સુખે કરી પ્યાર ।।૨૭।।
સોરઠા:-
પૂછ કરી બહુ પ્યાર, શંકા તજીને શિષ્ય સુખે ।।
મ કર સંકોચ લગાર, કરજે પ્રશ્ન પ્રગળ થઈ ।।૨૮।।
ઇતિ શ્રીહૃદયપ્રકાશમધ્યે સદ્ગુરુશિષ્યસંવાદે ત્રયોદશઃ પ્રસંગઃ ।।૧૩।।