શિષ્ય  ઉવાચ :- દોહા :-

શિષ્ય કહે  કર જોડીને,  સુણિયે મારા નાથ ।।

એ છે કામ  માહેરું , કે કાંઈ છે  હરિને હાથ ।। ૧ ।।

પડતી રાત  પ્રભાત લગી,  કોય ઉલેચે અંધાર ।।

ઊગ્યા દિન  વિન તમનો, કહો કેમ આવે  પાર ।। ૨ ।।

જેમ  આકાશે  ઉડુ   અતિ,  કરે  જામનીયે  જયોત ।।

દિનમાં એક દિસે નહિ, એ પ્રતાપ અર્ક ઉદ્યોત ।। ૩ ।।

નિશાચર નરસાં  અતિ,  દિયે  રાતમાં દુઃખ ।।

પણ જયારે  રવિ  પ્રગટે, ત્યારે  શાહાને સુખ ।। ૪ ।।

માટે  કહું  સદ્ગુરુ  સુણો,  જોઈ એ  પ્રભુનું  જોર ।।

એકલે મારે  આદરે, નહિ ભાગે  એહ ચોર ।। ૫ ।।

સદ્ગુરુ  ઉવાચ :- દોહા :-

સદ્ગુરુ કહે  એહ  આગળે,  નથી બીજાનું બળ ।।

પ્રભુના પ્રતાપથી,  સંત  કાઢે કરી કળ ।। ૬ ।।

જગતમાં  જે  જીવ  છે,  અજ્ઞાની અપાર ।।

તે શું વાત  તપાસશે, જે વિષય વશ નર નાર ।। ૭ ।।

નથી એહને  અંતરે,  ખોટ્ય  ખાટ્ય ખબર ।।

પશુવત  પાળે  પિંડને, એવાં ઘણાં  ઘરઘર ।। ૮ ।।

પણ જેને  શરણ જગદીશનું, તેને  કરવો તોલ ।।

જકત જાશે  જમપુરીયે,  ભકત જાશે બ્રહ્મમોલ ।।૯।।

એ મોટી  કમાણી માનીને, કરજો આગ્રહ કોય ।।

દેખી તેનો  દાખડો,  સા’ય  કરે હરિ સોય ।।૧૦।।

રાતદિન હૃદયમાંઈ, લિયે  એશું  લડાઈ ।।

સુખ-દુઃખ   પડે   શરીરને,   કદીયે  ન જાયે કાંઈ ।।૧૧।।

સંકલ્પ  એક  શમાવતાં, ઊઠે  બીજા  અનંત ।।

જુગતી કરી  જીતી લિયે, સાચા  કહિયે તે સંત ।।૧૨।।

આવે  અતિ  કોઈ  આકરો,  જીત્યો પણ નવ જાય ।।

જોઈ તેના  જોરને,  કાયર  કે  દી  ન થાય ।।૧૩।।

હૈયામાં  હિંમત  ઘણી,  પાછા  ન ભરે પગ ।।

પ્રમાદપણું  પરહરી, મંડ્યો રહે  તે મૂવા લગ ।।૧૪।।

ન દિયે દોષ  નાથને, ખોળે  પોતાની ખોટ ।।

સતસંગી   સાધુ  તણી,   મુખે   કહે બહુ મોટ ।।૧૫।।

જગજીવન  તેને  જોઈને,  કરે  કૃપાની દષ્ટ ।।

પાપી એના પંડથી,  ભાગી જાય તે ભ્રષ્ટ ।।૧૬।।

જેમ સોએ તસ્કર સામટા, તાકયા હોય તૈયાર ।।

ધણી જાગ્યે ભાગે ભલા, વળી ન કરે કોય વાર ।।૧૭।।

એમ પ્રભુના   પ્રતાપથી,   ભાગે   છે   એહ   ભૂર ।।

રજનીતમ કેમ  રહે,  જયારે  ઊગે સૂર ।।૧૮।।

એમ સાચા સંતની, સા’ય  કરે  ઘનશ્યામ ।।

મદત ન મેલે  મહાપ્રભુ, જોઈ જન નિષ્કામ ।।૧૯।।

સુખ તજી શરીરનું, આદરિયું  એહ કાજ ।।

તેની હરિ રાખશે,  જરૂર જાણો  લાજ ।।૨૦।।

ધ્રુવ પ્રહ્લાદ અંબરીષનો, રાખ્યો આગે રંગ ।।

તેમ તેનો રાખશે, સાચો  જોઈ સત્સંગ ।।૨૧।।

કસર કોઈ  જાતની,   જયારે   દેખે   નહિ   દયાળ ।।

ત્યારે તેહ ભકતની, પ્રભુ કરશે  પ્રતિપાળ ।।૨૨।।

ખરી હિંમત કરી ખેચરી, કર્યું સિંધુશું વેર ।।

ત્યારે તેની  ઉપરે, થઈ મોટાની  મે’ર ।।૨૩।।

માટે સાચો થઈ  મંડે,  રાજી  કરવા  રામ ।।

તેને કેમ તરછોડશે,  સુખદાયી  ઘનશ્યામ ।।૨૪।।

સાચા માથે  શ્યામળો,  રાજી છે રણછોડ ।।

કાને ન સુણે કપટીનું,  મર કરે સ્તુતિ ક્રોડ ।।૨૫।।

બા’રે બીજું  દેખાડવું,  કરવું બીજું કામ ।।

એવા કપટી ભકતનું, નાથ ન પૂછે નામ ।।૨૬।।

વેષ બનાવી  સંતનો, રાખ્યો વિષયશું નેહ ।।

ભજન તેનું ભીતરમાં, કહિયે જો કપટી તેહ ।।૨૭।।

પંચ વિષય વશ થઈ રહ્યો, તેશું જ લાગ્યું તાન ।।

કપટી તેને  કારણે,  ભજે  છે  ભગવાન ।।૨૮।।

ધારી માળા તિલકને,  સાધુ કહેવાણો સોય ।।

અંતરમાં અસાધુતા,  કાઢી ન શકયો કોય ।।૨૯।।

એવા કપટી જનની,  શ્રીહરિ ન કરે સા’ય ।।

સાચા સંતની શ્યામળો,  આવી ગ્રહે છે બાંય ।।૩૦।।

સોરઠા:-

બાંય ગ્રહે બળવીર, તેહ ન મૂકે મહારાજ કદિ ।।

એમ  સમજી  શિષ્ય  સુધીર,  કર  આદર  આગ્રહશું  અતિ ।।૩૧।।

ઇતિ શ્રીહૃદયપ્રકાશમધ્યે સદ્ગુરુશિષ્યસંવાદે એકાદશઃ પ્રસંગઃ ।।૧૧।।