શિષ્ય ઉવાચ :- દોહા :-
શિષ્ય કહે જે સદ્ગુરુ કહ્યું, તે સર્વ સુણ્યું સુખધામ ।।
પણ અંતર ઘાટ શમ્યા વિના, કેમ મનાય પૂરણકામ ।। ૧ ।।
ભજન સ્મરણ ધ્યાનમાં, એ આવે આડાં ઉર ।।
તેણે કરીને તનમાં, ઝાંખ્યપ રહે જરૂર ।। ૨ ।।
કેટલાક ઘાટ કે’વાય છે, કેટલાક તો ન કે’વાય ।।
ખરખરો એ ખોટનો, અંતરમાં અતિ થાય ।। ૩ ।।
ભકત થયા ભગવાનના, અને લિયે સંકલ્પ લાજ ।।
એહ વાતની ઉરમાં, મોટી ખોટ ગુરુરાજ ।। ૪ ।।
અયોગ્ય સંકલ્પ ઊપજી, વરતે જો પળવાર ।।
સુખ રહે કેમ તે સંતને, માને મને ધિક્કાર ।। ૫ ।।
સંકલ્પ સાચા સાધુને, અયોગ્ય થાય જો એક ।।
દિલ દેહે દાઝે ઘણું, ન રહે સુખ તે નેક ।। ૬ ।।
તેને ઠેકાણું ઠરવા, બતાવિયે ગુરુ ધીર ।।
જેણે કરી અતિ ઉરમાં, શાંતિ રહે સુખ શિર ।। ૭ ।।
અંડજ ઉદ્ભિજ જે કહીએ, સ્વેદજ જરાયુજ ખાણ ।।
એમાં સહુ જન્મે મરે, એમ કે’ છે વેદ પુરાણ ।। ૮ ।।
પણ સંકલ્પના શરીરનો, ન કર્યો કોણે નિરધાર ।।
ક્ષણક્ષણમાં જનમે મરે, તેનો નાવે પાર ।।૯।।
જે જે સંકલ્પ ઉપજે, તે તે ધરાવે તન ।।
એમ સમજી સંત સહુ, અતિ કંપે છે મન ।।૧૦।।
પળપળમાં પિંડ ધારવાં, અશુભ શુભ અગણિત ।।
તેની દાઝ તનમાં, કહો મટે કોણ રીત ।।૧૧।।
સંકલ્પના શરીરનો, કે’તાં નાવે પાર ।।
બીજા ચોરાશી બા’રની, સૌ જાણે છે નર નાર ।।૧૨।।
માટે એ કેમ મટે, અંતર ઘાટ અજોગ ।।
સંકલ્પ શમતાં સહુ શમે, જન્મ મરણ ભવરોગ ।।૧૩।।
સદ્ગુરુ ઉવાચ:-
સદ્ગુરુ કહે સુણ શિષ્ય તું, સાચું કહું સુજાણ ।।
ઉત્તર આપું એહનો, પૂછ્યું પ્રશ્ન પ્રમાણ ।।૧૪।।
જે જે ઉર ઘાટ ઉપજે, જે સમે જેહ કાજ ।।
તે સમે સંભારવા, મનમોહન મહારાજ ।।૧૫।।
જેમ સતયુગ ત્રેતા દ્વાપરે, ફરતું સુદર્શન ।।
દાસનાં દુઃખ ટાળવા, ભય ભંજન ભગવન ।।૧૬।।
તેમ આજ પ્રભુની મૂરતિ, સુદર્શન સમાન ।।
અંતરશત્રુ સંતના, નાશ કરે નિદાન ।।૧૭।।
ઊઠે ઘાટ જયાં ઉરમાં, તિયાં સંભારે શ્યામ ।।
મૂર્તિ સંકલ્પ માત્રનું, તર્ત ટાળે ઠામ ।।૧૮।।
જન જાચે જન્મોજન્મ, ભકત દ્યો ભગવાન ।।
તે જનમ બીજો નહિ, સંકલ્પ દેહ સમાન ।।૧૯।।
હોય નહિ હરિજનને, ઉદર માને અવતાર ।।
પણ ઘટ બંધાવા ઘાટનું, નવ દેવું નિરધાર ।।૨૦।।
શિષ્ય ઉવાચ :-
શિષ્ય કહે જન્મ મરણનું, કારણ એહ કે’વાય ।।
સંકલ્પ ત્યાં સાચું સહુ, સંકલ્પ સમે સમાય ।।૨૧।।
તે તો પ્રભુ પ્રતાપથી, આવે ઉદ્ભવ અંત ।।
અવર બીજા ઉપાયથી, સુખી ન હોયે સંત ।।૨૨।।
માટે કૃપા કરી હરિ, સમાવે સંકલ્પ ।।
સુખે ભજીયે શ્યામને, ન પડે કોયનો ખપ ।।૨૩।।
જનનું જોર કેટલું, નિર્બળ નર કે’વાય ।।
હરિ ધારે હૈયે એટલું, તો વાર ન લાગે કાંય ।।૨૪।।
સદ્ગુરુ ઉવાચ:-
સદ્ગુરુ કહે એહ રીત નહિ, જે અંતર કરે ઉચ્છેદ ।।
અંતર ત્યાં એહ પણ ખરાં, ઘાટઘાટના ભેદ ।।૨૫।।
જયારે અંતર ઓગળી, વળી ટળી જાય છેક ।।
ત્યારે તેહ જનને, ઉત્થાન ન રહે એક ।।૨૬।।
ત્યારે તેહ જનને, ન રહે શરીર સંભાળ ।।
દેહભાન ભૂલ્યા પછી, રહે ન તન બહુકાળ ।।૨૭।।
વળી જયારે જે જે જનને, હરિ કરી દે એમ ।।
ત્યારે બીજા જનનો, કઢાય વાંક કો’ કેમ ।।૨૮।।
ભકત તૈયે ભગવાનની, એથી ન થઈ અણુભાર ।।
સોંપ્યું કામ જયારે શ્યામને, ત્યારે નીસર્યો નર નાદાર ।।૨૯।।
ભકત ભકત ભજાવવા, કરે ઉદ્યમ અપાર ।।
જોઈ જનનો દાખડો, શ્રીહરિ કરે છે સાર ।।૩૦।।
ભકતનું કામ ભકત કરે, ભગવાનનું ભગવાન ।।
અવળું સવળું સોંપવું, એહ મોટું અજ્ઞાન ।।૩૧।।
માટે હરિબળ હૈયે ધરી, કરિયે અતિ આખેપ ।।
પ્રભુના પ્રતાપથી, આવી જાય જો ઠેપ ।।૩૨।।
મોરે મુકત જે જે થયા, તેણે કરી તપાસ ।।
અંતરના અરિ જીતવા, વનમાં જૈ કર્યો વાસ ।।૩૩।।
શબ્દ સ્પર્શ રૂપ રસ, સારો ગંધ સુગંધ ।।
દુઃખદાઈ દેખી દિલે, તજયો તેનો સંબંધ ।।૩૪।।
એણે એમ કહ્યું નહિ, જે કરશે મહાપ્રભુ મે’ર ।।
અંતરશત્રુ જીતશું, સુખે બેઠાંઘેર ।।૩૫।।
માટે કે’દી દેવો નહિ, દીનબંધુને દોષ ।।
એવું મુખે જે ઉચ્ચરે, તે પર કરે હરિ રોષ ।।૩૬।।
કે’ એને અનુપ મેં આપિયો, મોંઘો મનુષ્યનો દેહ ।।
તોયે વાંક અમ તણો, કાઢે કૃતઘ્ની એહ ।।૩૭।।
નરતન પામી નવ કર્યો, ઉરમાં એમ વિચાર ।।
પૂરણ કૃપા કરી હરિ, આપ્યો અમૂલ્ય અવતાર ।।૩૮।।
અંતરશત્રુ જીતવા, સારો દીધો સમાજ ।।
ભવજળ પાર ઉતરવા, નરતન ઉત્તમ જા’જ ।।૩૯।।
તે આપ્યું અવિનાશિયે, દયા કરીને દયાળ ।।
હવે હું આળસ કરું, તો રહે ખોટ્ય બહુ કાળ ।।૪૦।।
એમ સમજે તે સંત છે, હરિભકત કહિયે હરિદાસ ।।
ગુણ ગણે ગોવિંદમાં, અવગુણ પોતા પાસ ।।૪૧।।
ભૂલ્યે પણ ભાખે નહિ, વૈખરિયે એહ વેણ ।।
મારું દુઃખ મટ્યું નહિ, શ્યામ કા’વે સુખદેણ ।।૪૨।।
દાસનાં દુઃખ કાપવા, ત્રિકમ રે’છે તૈયાર ।।
મારું દરદ મટ્યું નહિ, કરું કિયાં પોકાર ।।૪૩।।
એમ બોલે અભાગિયો, દઈ હરિને દોષ ।।
મિથ્યા વાંક મહારાજનો, કાઢી કરે અપસોસ ।।૪૪।।
એવા ભકત બહુ જકતમાં, તે પર કરે હરિ રીસ ।।
માટે દોષ ન દેવો નાથને, સદ્ગુરુ કહે સુણ શિષ્ય ।।૪૫।।
સોરઠા:-
એમ ન કરે અપસોસ, રાતદિવસ રુદિયા વિષે ।।
દૈયે હરિને દોષ, રોષ કરી રીસે નહિ ।।૪૬।।
ઇતિ શ્રીહૃદયપ્રકાશમધ્યે સદ્ગુરુશિષ્યસંવાદે દ્વાદશઃ પ્રસંગઃ ।।૧૨।।