શિષ્ય  ઉવાચ :- દોહા :-

શિષ્ય  કહે સદ્ગુરુ સુણો, જે કહ્યા આગે ઉપાય ।।

કઠણ  છે એ કરવા,  વિચારિયું ઉરમાંય ।। ૧ ।।

નિર્વેદ  પણ હોય નબળો, સ્નેહ નિયમ પણ સમાન ।।

સત્સંગ  પણ  સુધો નહિ, અતિ  આત્મજ્ઞાન ।। ૨ ।।

શ્રોત્ર  ત્વક્  નેત્ર  કહ્યાં,  રસના  ઘ્રાણ  મન બુદ્ધ ।।

ચિત્ત  અહંકાર  ચોખાં  નહિ,  સરસ  અતિશે શુદ્ધ ।। ૩ ।।

એહ સહુને  નિમમાં,  રાખે બહુ  બળવાન ।।

થોડે  બળે થાતાં નથી, સદ્ગુરુ  સુણો નિદાન ।। ૪ ।।

માટે  કહો કૃપા કરી, હોય નિર્બળનો નિભાવ ।।

હિંમત  આવે હરિભકતને, ભજે હરિ કરી ભાવ ।। ૫ ।।

સદ્ગુરુ  ઉવાચ :- દોહા :-

સદ્ગુરુ  કહે  સુણ્ય  શિષ્ય  તું, કહું વાત એની અનુપ ।।

જે જે ક્રિયા જન કરે, તે થાય ધ્યાન  સ્વરૂપ ।। ૬ ।।

જે  દેખે જે સાંભળે, ત્યાં સંભારે હરિરાય ।।

સુણ્ય  શિષ્ય શ્રવણ દઈ,  કહું એવો  ઉપાય ।। ૭ ।।

પ્રથમ  સંભારે શ્યામને,  મનસુબાથી મો’ર ।।

વીસરે નહિ એહ વારતા, સર્વ  કાળ  સર્વ  ઠોર ।। ૮ ।।

જે જે સંકલ્પ મન કરે,  ચિત્ત કરે ચિંતવન ।।

હરિ સંબંધ વિના હોય નહિ, જરૂર જાણે તું જન ।।૯।।

બહુ નિશ્ચય બુદ્ધિ કરે, ધરે  અહં અહંકાર ।।

તેમાં સંબન્ધ લઈ શ્યામનો, ચિંતવે વારમવાર ।।૧૦।।

જે  જે શબ્દ સાંભળે,  શ્રવણ ધરીને સોય ।।

તે તે શબ્દ હરિ સંબંધ વિન, નિશ્ચય ન કરો તોય ।।૧૧।।

પશુ પંખી  નર નારના, જડ  ચૈતન્યના જાણ ।।

હરિ સંબંધે  સાંભળવા,  શબ્દ  સર્વ  સુજાણ ।।૧૨।।

વાજાં  છે બહુવિધનાં, કે’તાં ન આવે અંત ।।

વાજયાં છે હરિ આગળે, એમ  સમજે છે સંત ।।૧૩।।

ગાન તાન ગણતી નહિ, રાગ રાગણી બહુ રીત ।।

આલાપ્યાં  હરિ  આગળે,  એમ  ચિંતવે  જન ચિત્ત ।।૧૪।।

કવિત સવૈયા સાખી છપે, પૂર્વછાયા પરજિયા છંદ ।।

દોહા ચોપાઈ સોરઠા, કહ્યા હરિ આગે કવિ ઈંદ ।।૧૫।।

કાવ્ય  કથા  પુરાણ પદ,  શાસ્ત્ર વેદ સુખધામ ।।

તે સુણ્યા શ્રીહરિ પાસળે, એમ સાંભરે ઘનશ્યામ ।।૧૬।।

સ્પર્શ સર્વે  શોધિયે,  સુંવાળા સુખરૂપ ।।

હરિસંબંધે  સંભારિયે,  અતિ  સુંદર  અનુપ ।।૧૭।।

સ્પર્શ  કોમળ  શય્યા  તણો,  પે’ર્યાનાં  પટ  કોમળ ।।

હરિસંબન્ધે  સંભારતા,  આવે  સુખ  અતોળ ।।૧૮।।

કોમળ કુસુમની કળીએ, સુંદર સમારી  સેજ ।।

સુતા દીઠા શ્રીહરિ,  આવ્યો  આનંદ  એજ ।।૧૯।।

પંખેશું પવન કર્યા,  ભર્યા  હેતેશું  હોજ ।।

ઉષ્ણ ઋતુમાં અલબેલડો, બેઠા હરિ કરી  મોજ ।।૨૦।।

સ્પર્શ સર્વ સૂચવતાં,  સાંભરે  શ્રી ઘનશ્યામ ।।

ધન્યધન્ય જન એ ધ્યાનને, અખંડ આઠું  જામ ।।૨૧।।

રૂપ   અનુપ   અતિ   ઘણાં,   અવલ  નવલ  અનુપ ।।

હરિસંબંધે સંભારિયે, તો સર્વે  એ સુખરૂપ ।।૨૨।।

સર  નદી  વાપી  કૂવા,  હરિ નાહ્યા પીધાં નીર ।।

સાંભરે દેશ દરિયાવ નાવે, સુંદર  શ્યામ  સુધીર ।।૨૩।।

દેશ  વિલાયત નગર  પુર, તિયાં  થયાં  દર્શન ।।

ગામ  ઘોષ  વન  વાટ  ગિરિ,  ગુહા  ઘર  ઘાટ  નિર્ઝરન ।।૨૪।।

પશુ પંખી પન્નગ લઈ, જેને હોય હરિસંબન્ધ ।।

ગજ વાજ અજ ગો મહિષી, કરે ન વૃષભ  બંધ ।।૨૫।।

ધાતુ સપ્ત પ્રકારની,  અનેક  તેના  આકાર ।।

હરિસંબન્ધે જો સાંભરે, તો સર્વે  સુખ  દેનાર ।।૨૬।।

નંગ ભૂષણ વાસણ વળી, શસ્ત્ર  અસ્ત્ર  અનેક ।।

એહ  સંબંધે હરિ સાંભરે, તો સુખદ એકોએક ।।૨૭।।

ખાટ  પાટ ખુરશી પલંગ પર,  બેઠા દીઠા નાથ ।।

રથ વેહેલ્ય ગાડી પાલખિયે,  જોઈ જન સનાથ ।।૨૮।।

છત્ર  ચામર  અબદાગિરિ,  ધરી  હરિને  શીશ ।।

તે  સંભારતાં  સાંભરે,  જગજીવન  જગદીશ ।।૨૯।।

બેઠા  પ્રભુ બાજોઠ પર,  શ્રીહરિ  ડોળ હિંડોળ ।।

કરી  અગર  કપૂર  આરતી,  સુખ  સંભાર્યે  અતોળ ।।૩૦।।

મેડી  મંદિર  માળિયે, મંચે બેઠા  મહારાજ ।।

તે  સંભારતાં સાંભરે,  સુંદર  શ્રી  હરિરાજ ।।૩૧।।

યજ્ઞ  સમૈયા  ઉત્સવ  અતિ,  જન  જોઈ  જોઈ  જમાડ્યાં  હાથ ।।

કો’  વાલમ કેમ વિસરે, સદા  રે’તા હરિ સાથ ।।૩૨।।

શીત  ઉષ્ણ  પ્રાવૃટ માંહી,  સાંભરે  સુખધામ ।।

ધૂણી ધૂમ ધામે હરિ,  બેઠા  જયાં ઘનશ્યામ ।।૩૩।।

ગ્રીષ્મ પ્રાવૃટ શરદઋતુ;  શિશિર શીત વસંત ।।

ફૂલડોળ ઉત્સવ ઉપરે,  મળતા  સંત અત્યંત ।।૩૪।।

એમ  સંબન્ધે સાંભરે, શ્રીહરિ  સુખદેણ ।।

આવડત હોય જો અંગમાં, તો ન ભૂલે રાજીવનેણ ।।૩૫।।

પંચભૂતથી  પ્રગટ્યાં, જડ  ચૈતન્ય જે જાત ।।

તે સંબન્ધે  હરિ સાંભરે,  શિષ્ય સુણી  લે વાત ।।૩૬।।

સોરઠા:-

શિષ્ય સુણી  લે વાત, સમજાવી સદ્ગુરુ કહે ।।

એમ  દિવસ ને રાત, અખંડ ધ્યાન હરિનું જો રહે ।।૩૭।।

ઇતિ શ્રીહૃદયપ્રકાશમધ્યે સદ્ગુરુશિષ્યસંવાદે ચતુર્દશઃ પ્રસંગઃ ।।૧૪।।