રાગ:-  ધોળ

જેની મૂર્તિ મંગળરૂપ છે, સ્પર્શતાં પાપ પલાયરે ।

અનેક જન્મનાં અઘ અતિ, જેનું નામ જપતાં તે જાયરે; જેની૦ ।।૧।।

જેને દર્શને સર્વે દુષ્કૃત ટળે, બળે બહુ કર્મના કોટરે ।

જેનું સ્મરણ કરતાં સંકટ શમે, વળી લાગે નહિ કાળની ચોટરે; જેની૦ ।।ર।।

જેની કીર્તિને સુણતાં કાનમાં, થાય નર નિર્ભય નિદાનરે ।

જેનો મહિમા ન કે’વાય મુખથી, એવા છે એ શ્રીભગવાનરે; જેની૦ ।।૩।।

એમ સર્વે અંગે સુખદાઈ છે, મૂર્તિ જેની મનોહરરે ।

નિષ્કુલાનંદ એહ નાથને, ના’વે કોઈ બીજું સરાભરરે; જેની૦ ।।૪।।પદ ।।૮।।