રાગ:- બિહાગડો

પ્રસન્ન થયા પરબ્રહ્મરે, જેને પ્રસન્ન૦ । એને નડે નહિ કોઈ કર્મરે, જેને પ્રસન્ન૦ ।। ટેક

જેમ કોઈ પારસને પામે, તેને કરવો ન રહે ઉદ્યમ ।

વિના અતિ સંપત્તિ પામે, વામે વેળા વિષમરે; જેને પ્રસન્ન૦ ।।૧।।

નવનિધિ અષ્ટસિદ્ધિ આલોકે, સહુને પામવી અગમ ।

તેતો દાસી થઈ રહે છે દ્વારે, સા’ય કરવા સુગમરે; જેને પ્રસન્ન૦ ।।ર।।

સે’જે સે’જે સુખ રહે સહવાસે, પડે નહિ પરિશ્રમ ।

વણચિંતવે આવી મળે વસ્તુ, એમ વદે છે આગમરે; જેને પ્રસન્ન૦ ।।૩।।

અચળ આસન ઉપર બેઠા આવી, જે છે આસન અતિ રમ્ય ।

નિષ્કુલાનંદ નિઃશંક થયા છે, નિશ્ચે કહે છે નિગમરે; જેને પ્રસન્ન૦ ।।૪।।  પદ ।।૩।।