રાગ:-  ધોળ

મને માનીયો મોદ અપાર, સમઝી વાત સારી । સારી પેઠયે મેં શોધિયું સાર, મતિ જેવી હતી મારી ।।૧।।

મારી જાણમાં આવિયું જેમ, તેમનું મેં તેમ કહ્યું । કહ્યું અંતર ઉપજયું એમ, સમઝવા સારૂં થયું ।।ર।।

થયું નિર્ધનને ધનરૂપ, વસમી વેળા સમે । સમે અંતરતાપ અનૂપ, દુષ્ટ કોઈ નવ દમે ।।૩।।

દમે સમઝયા વિના શરીર, પ્રગટ પ્રભુને મેલી । મેલી મહી વલોવતાં નીર, પ્રાપતિ સઈ છેલ્લી ।।૪।।

છેલ્લી સમઝણ સંતની એહ, પ્રતાપ પ્રભુનો જાણે । જાણે સમર્થ શ્રીહરિ તેહ, ભરોંસો એ ઉર આણે ।।પ।।

આંણે ટાંણે કરવો વિચાર, વિવેકે વળી વળી । વળી નરને કરવો નિરધાર, મોટા જો સંતને મળી ।।૬।।

મળ્યો મનુષ્ય દેહ અમૂલ્ય, ફરીફરી મળતો નથી । નથી ઘટતી રાખવી ભૂલ્ય, કહું શું હું કથી કથી ।।૭।।

કથી કહ્યું મેં સર્વનું સાર, શાણા સમઝી લેજો । લેજો નિષ્કુલાનંદનો વિચાર, સુંદર સારો છે જો ।।૮।। પદ ।।૧૧।।

ઈતિ શ્રીસહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુલાનંદમુનિ વિરચિતા હરિબળગીતા સંપૂર્ણ.