રાગ:-  સોરઠા

સુખદાયી સદા શ્યામળો, જીવ જરૂર ઉરમાં જાણ્ય ।

દૃઢ ભરોંસો ધર્મનંદનો, અતિ અંતરમાંઈ આણ્ય; સુખ૦ ।।૧।।

પ્રથમ પો’ચ પોતાની જોઈને, પછી મનમાં ધરીયે માન ।

એવું ન થાય આપણે, જેવું ભલું કરે ભગવાન; સુખ૦ ।।ર।।

જેમ મેઘ જીવાડે મેદિની, વળી અર્ક ટાળે અંધાર ।

એવું કામ કોયથીરે, જોને નવ થાય નિરધાર; સુખ૦ ।।૩।।

તેમ જે નિપજે જગદીશથી, તે ન નિપજે જીવથી જાણ્ય ।

નિષ્કુલાનંદ ન કીજીયેરે, ઠાલી તપાસ્યા વિના તાણ્ય; સુખ૦ ।।૪।। પદ ।।પ।।