હરિની આજ્ઞા માનવી મનજી, નરને કરવાં સર્વે સાધનજી ।

તેમાં કાંઈ ફેર ન પાડવો જનજી, પ્રગટ પ્રભુને કરવા પ્રસન્નજી ।।૧।।

ઢાળ

પ્રસન્ન કરવા મહાપ્રભુને, રે’વું આજ્ઞાને અનુસાર । જેજે જેના ધર્મ છે, તેતે પાળવા કરી પ્યાર ।।ર।।

ધર્મે રાજી ધર્મના સુત, ધર્મ સાધુનો શણગાર । ધર્મ ધારી સહુ રહ્યા, ચાર વર્ણ આશ્રમ ચાર ।।૩।।

તેમ ધર્મ ત્યાગીતણા, નિર્લોભી ને નિષ્કામ । નિસ્પૃહી નિર્માનિતા, નિઃસ્વાદી એહ નામ ।।૪।।

તેમાં ફેર એક તલભાર, નવ પડવા દેવો નેક । મુવા સુધી મૂકવી નહી, ગૃહી ત્યાગી એક ટેક ।।પ।।

મુખથી મોળી વારતા, ભૂલ્યે ભાષણ કરવી નહી । બળે સહિત બોલવું, સહુસહુને ધર્મે રહી ।।૬।।

કાયરની વાતે કોઈને, ના’વે શૂરાતન સોય ।નપુંસક નરથી નારને, પુત્રની પ્રાપ્તી ન હોય ।।૭।।

માટે હૈયે હિંમત ધરો, અને કરો ખરો ખેલ । નિષ્કુલાનંદનો નાથજી, થાશે રાજી અલબેલ ।।૮।। કડવું ।।૯।।