સાધન સર્વે સમઝવાં સત્યજી, એહમાં એકે નથી અસત્યજી ।

રાખવાં નરને નક્કી કરી નિત્યજી, વિઘન પડે ન હારવી હિમત્યજી ।।૧।।

ઢાળ-

વિઘન પડે વ્યાકુળ થઇ, અતિ થાવું નહિ ઉદાસ । પતિતપાવન નાથનો, વડો રાખવો વિશ્વાસ ।।ર।।

ભોળાઇએ કાંઇ ભૂલ્ય પડે, થાય ન કરવાનું કામ । નર નિશ્ચેનું બળ લઇ, સમરવા ઘનશ્યામ ।।૩।।

કચવાઇ કાયર થઇ, પાછા ન ભરવા પગ । હૈયે હિંમત ન હારવી, મંડયું રે’વું મુવાલગ ।।૪।।

પડતાં આખડતાં રાહજ પંથે, ચાલવું ચિત્તે કરી ચાહ । પડી ન રે’વું પૃથ્વી, લેવો એનો એહ રાહ ।।પ।।

જરૂર પો’ચશું જાણવું, શ્રીહરિની હજૂર । પગે પગે પંથ કાપશું, એમ જાણવું જન જરૂર ।।૬।।

ભકત છીએ ભગવાનના, મન વચન કર્મે કરી । નિશ્ચે કર્યું છે નાથનું, તે ફરશે નહિ ફેરવે ફરી ।।૭।।

અચળ જાણી એ આશરો, ન્યૂન માનવી નહિ મન । નિષ્કુલાનંદ એ વારતા, નકી નિરવિઘન ।।૮।। કડવું ।।૮।।