સાધન સર્વે સમઝવાં સત્યજી, એહમાં એકે નથી અસત્યજી ।
રાખવાં નરને નક્કી કરી નિત્યજી, વિઘન પડે ન હારવી હિમત્યજી ।।૧।।
ઢાળ-
વિઘન પડે વ્યાકુળ થઇ, અતિ થાવું નહિ ઉદાસ । પતિતપાવન નાથનો, વડો રાખવો વિશ્વાસ ।।ર।।
ભોળાઇએ કાંઇ ભૂલ્ય પડે, થાય ન કરવાનું કામ । નર નિશ્ચેનું બળ લઇ, સમરવા ઘનશ્યામ ।।૩।।
કચવાઇ કાયર થઇ, પાછા ન ભરવા પગ । હૈયે હિંમત ન હારવી, મંડયું રે’વું મુવાલગ ।।૪।।
પડતાં આખડતાં રાહજ પંથે, ચાલવું ચિત્તે કરી ચાહ । પડી ન રે’વું પૃથ્વી, લેવો એનો એહ રાહ ।।પ।।
જરૂર પો’ચશું જાણવું, શ્રીહરિની હજૂર । પગે પગે પંથ કાપશું, એમ જાણવું જન જરૂર ।।૬।।
ભકત છીએ ભગવાનના, મન વચન કર્મે કરી । નિશ્ચે કર્યું છે નાથનું, તે ફરશે નહિ ફેરવે ફરી ।।૭।।
અચળ જાણી એ આશરો, ન્યૂન માનવી નહિ મન । નિષ્કુલાનંદ એ વારતા, નકી નિરવિઘન ।।૮।। કડવું ।।૮।।