એવી વાતો આગે બહુ થઇજી, નથી કે’વાની તોપણ કહીજી ।

એહ રીતે લાજ કો’કેની રહીજી, પણ એહ સહુની મોટપ ન ગઇજી ।।૧।।

ઢાળ-

મોટપ ન ગઇ મોટાતણી, તે નારાયણને નિશ્ચે કરી । અતિબળ આશ્રયનું, તેણે સંશયને લીધો હરી ।।ર।।

ભુંડી વાસના ભકતને, જો અણુ અંતરમાં થાય । સમઝે બળ સાધનનું, તો સુખ ન રહે કાંય ।।૩।।

માટે બળ મહારાજનું, રાખવું હૃદિયામાંય । તેહ વિના અપરાધ ટાળવા,  અન્ય નથી ઉપાય ।।૪।।

એવી રીતે અનેક જીવનો, આગે થયો ઉદ્ધાર। સાર્થક સર્વે થયા, આગમ હરિ અવતાર ।।પ।।

એહ વિના અનેક રીતે, વળી વાત ન બેસે બંધ । દૈવી આસુરી ઉદ્ધર્યા, તે શ્રીહરિને સંબંધ ।।૬।।

મૂરતિ શ્રી મહારાજની, મહાનિધિ મંગળરૂપ । જાણે અજાણે જે આશરે, તે થાય શુદ્ધ સ્વરૂપ ।।૭।।

અજાણે અમૃત પાનથી, નર અમર થાય આપ । નિષ્કુલાનંદ નારાયણ સંબંધે, સ્પર્શે નહિ પંચ પાપ ।।૮।। કડવું ।।૭।।