હરિબળગીતા હેતે સાંભળશેજી, તેહના સર્વે શોક સંશય ટળશેજી।
સમજી સાંભળતાં પાપ પળશેજી, નિરબળ નરને બળ મળશેજી ।।૧।।
ઢાળ-
મળશે બળ નિરબળને, તે પ્રભુને પ્રતાપે કરી । સમુદ્ર જે સંકટનો, તે તરત નર જાશે તરી ।।ર।।
પુષ્ટી છે પ્રભુના દાસને, આ ગ્રંથમાં ઘણી ઘણી । હાર્યાને હિંમત આવશે, અપો’ચ ટળશે આપણી ।।૩।।
લડથડતાંને લાકડી, કાજુ આપી છે કરમાંઈ । ભોંયે પડયાનો ભય ટળ્યો, કહું બીક ન રહી કાંઈ ।।૪।।
હિંમત સહિત હાલશે, કરી કાયરતા વળી દૂર । આગળ પગ આરોપશે, થઈને સાચો શૂર ।।પ।।
ઘણું બળ ઘનશ્યામનું, અતિ આવશે ઉરને વિષે । મોળપ મટશે મનની, આ ગ્રંથ જો સાંભળશે ।।૬।।
એકાદશ પદ ચુંવાળીશ કડવાં, વળી ચારસે એનાં ચરણ છે । નિર્બળ સબળ સંતને, સદા એહ સુખ કરણ છે ।।૭।।
સંવત્ અઢાર અઠાણુંનો, માસ પુરૂષોત્તમ પુન્યમ દને । નિષ્કુલાનંદ જન હિત અર્થે, કર્યો ગ્રંથ સમઝી મને ।।૮।। કડવું ।।૪૪।।