વિશ્રામ છો વા’લા વસમે સમેજી, જયારે નિજજનને દુષ્ટ આવી દમેજી ।
તે તમારા સંત ઘણું ઘણું ખમેજી, પણ તેનું દુઃખ તમને નવ ગમેજી ।।૧।।
ઢાળ –
ગમે નહિ ગરીબ પીડતાં, તમે કરો છો ક્રોધ તેહ કારજે । દાસનાં દુઃખ ટાળવા, રાખતા નથી આળસ રજે ।।૨।।
શીઘ્ર રહોછો સ્વામી મારા, તે સંતનાં સંકટ ટાળવા । અખંડ રે’છે બહુ અંતરે, તાન પોતાના જન પાળવા ।।૩।।
ક્ષણ એક ખમી ન શકો, પીડા જન પોતાના તણી । એને અર્થે અલબેલડા, કરો છો જતન ઘણી ।।૪।।
માટે નિઃશંક નિજજન રે’છે, વિઘ્ન કોઇ વ્યાપતું નથી । સા’ય કરો છો જે સંતની, તે કે’વાતું નથી કથી ।।૫।।
ગુણ તમારા ગણતાં, આવતો નથી વળી અંત । એવું વા’લું નથી અંગ આપનું, જેવા વા’લા છે સંત ।।૬।।
જણાયછે મારા જીવમાં, સંત હેતે રો’છો સાવધાન । કહી દેખાડું શું કૃપાનિધિ, ભક્તભયહારી ભગવાન ।।૭।।
સાચા સનેહી શ્યામળા, તમે સંતના છો શ્રીહરિ । નિષ્કુલાનંદ એ વારતા, ખચિત છે ખરા ખરી ।।૮।। કડવું ।।૪૨।।