એહ વિના ઉપાય હોય કોઈ એકજી, કે’જો સહુ સમઝી કરી વિવેકજી ।

એહ વિના સાધન બીજાં અનેકજી, અતિ મતિ ગતિયે નક્કી કર્યું નેકજી ।।૧।।

ઢાળ-

નક્કી તેનો નિર્ણય કર્યો, જોઈએ નિશ્ચયનું નરને જોર । નાથના નિશ્ચય વિના, અતિ રહે અંધારૂં ઘોર ।।ર।।

પૂરણ પુરષોત્તમ પ્રગટી, નરતન ધરે નાથ । તેહ મૂર્તિ જેહને મળે, તે સર્વે જન સનાથ ।।૩।।

મનુષ્યાકાર અપાર સામર્થી, જેહ સમે ધરે જેહ નામ । તેહ નામ સમરતાં જન, થાયે પૂરણકામ ।।૪।।

જેમ વેજું કરે કોઈ વ્યોમનું, તેની ખાલી ન જાયે ચોટ । તેમ નામ ઘનશ્યામને, થાય કલ્યાણ કોટ ।।પ।।

જેમ ઇંદુમાં અગ્નિ નહિ, નહિ અર્કમાંહી અંધાર। તેમ પ્રભુ પ્રગટમાં, નો’ય અમંગળ નિરધાર ।।૬।।

વિદ્યુત ન તજે વહનિ, શીતળતા ન તજે શ્રીખંડ । તેમ કલ્યાણ મહારાજમાં, રહ્યું અતિશય અખંડ ।।૭।।

એહ દ્રષ્ટાંતને ઉર ધરી, રે’વું નિઃસંશય નિર્ભય વળી । નિષ્કુલાનંદ નિશ્ચે કહે, સત્ય માનજો સહુ મળી ।।૮।। કડવું ।।૪।।