એમ સમઝયા વિના જે અધુરાજી, પ્રાકૃત ગુણે કરી માને પૂરાજી ।
પરને પીડવા સુધા અતિ શૂરાજી, પળે પળે દલમાં તર્ક અતિ તુરાજી ।।૧।।
ઢાળ-
તુરા અતિ અંતરમાં, તેણે ગરીબની ગણતી નહિ । શિયાળ વેષ લઈ સિંહનો, બિવરાવે બીજાં કહિ ।।ર।।
પણ જંબુક મન નથી જાણતો, આતો બળ છે અજીનનું । તેણે કરીને થાય છે, અપમાન દુર્બળ દીનનું ।।૩।।
એમ ગુણ ગોવિંદના, જરાયેક પામે છે જન । માને હું મોટો થયો, સર્વે ગુણે સંપન્ન ।।૪।।
તેણે કરી તન મનમાં , ફોગટ રહે છે ફૂલ્ય । પણ તપાસતો નથી તેહને, જે ભારે આવી ગઈ ભૂલ્ય ।।પ।।
જોને પે’રી ઘરેણાં પરનાં, મને માનવી મોટાઈ કેમ । જયારે ઉતારી લેશે અંગથી, ત્યારે રહીશ તેમનો તેમ ।।૬।।
માટે મોટપ માનવી, મોટી મહાપ્રભુ માંઈ । જોઈ પોતાના જોરને, જન જોમ ન કરવું કાંઈ ।।૭।।
નિશ્ચય નથી નિપજતું, આપણાથી અણુંભાર । નિષ્કુલાનંદ એમ નરને, કરવો વારમવાર વિચાર ।।૮।।કડવું ।।૩૩।।