કીર્તિ પ્રભુની સુણતાં કાનજી, જાય અણસમઝણ અજ્ઞાનજી ।
પ્રગટ પ્રભુશું લાગે તાનજી, એવું કાંય નથી એહની સમાનજી ।।૧।।
ઢાળ-
સમાન ન દીઠું શોધતાં, હરિકીર્તિ જેવું કોય । જશ સુણતાં જગદીશના, થયા સંસાર પાર જન સોય ।।ર।।
પૃથુ ને પરીક્ષિત આદિ, વળી જનક જેવા નરેશ । નારદ હનુ સનક આદિક, હરિ કથા સૂણે છે હમેશ ।।૩।।
જુવો વળી આ જગતમાં, હરિજશ સૂણે છે હેતે કરી । કષ્ટમાં એહ કામ આવે, સંકટ સર્વે જાય તરી ।।૪।।
એવી કીર્તિ કોણની, જેને સાંભળીને તાપ ટળે । અન્ય કથાને કાને સૂણતાં, પુણ્ય સર્વે પરજળે ।।પ।।
પતિતને પાવન કરવા, જશ હરિના છે જાહ્નવી । એહ પખી પવિત્ર થાવા, નથી ઉપાય માનો માનવી ।।૬।।
એવા જશ જેણે સાંભળ્યા, તે સનાથ થયા સહુ । ઓછું ન માનવું અંતરે, માનવી મોટપ બહુ ।।૭।।
જેની કહીયે પવિત્ર કીરતિ, એવા તો હરિ એક છે । નિષ્કુલાનંદ એ નક્કી કરવું, એહજ સારો વિવેક છે ।।૮।। કડવું ।।૩૧।।