વળી કહું એક વારતા સરસજી, પતિવ્રતા જેને એક પુરૂષજી ।

પંચને પત્ની એક નેક-નરસજી, એમ કહે છે પુરાણ અષ્ટાદશજી ।।૧।।

ઢાળ- અષ્ટાદશ આગમમાં, નિર્ણય કર્યો છે નેક । પતિને બહુ પતની, પત્નિને પતી એક ।।ર।।

એહ મર્યાદા પુરાણમાં, બાંધી બહુ બળવાન । સહુ સહુને ધર્મે રહી, ભજવા શ્રીભગવાન ।।૩।।

ધર્મદ્વેષી હરિધામમાં, નવ પો’ચે નિર્વાણ । પંચાલી આદિ એ પંચનું, કેમ માનવું કલ્યાણ ।।૪।।

માટે એ વાત મૂકી દીયો, લિયો હરિ શરણનું જોર । ક્રિયા જોતાં કોઈની, નથી આવતો નોર ।।પ।।

પ્રજ્ઞાચક્ષુ પતિ સુણી, કરી ગંધારીએ મન ગોત । તરત નેત્ર મિચિયાં, એવી પતિવ્રતા ઉદ્યોત ।।૬।।

પણ શ્રીહરિના સંબંધ વિના, અર્થ ન સર્યો એક । સઠપણે સમજયા વિના, ઠાલી ઝાલી એહ ટેક ।।૭।।

એવા જીવ કાંઈ જગતમાં, ઘણું ધર્મવાળા કે’વાય । નિષ્કુલાનંદ કે’ કર્ણદાની, જરાસંઘ બ્રહ્મણ્ય જગમાંય ।।૮।। કડવું ।।૧૯।।