નિરવિઘન છે નાથનું શરણજી, નિજસેવકને સદા સુખકરણજી ।

જોગ અજોગ થયું હોય આચરણજી, તેહના અઘના ઓઘનું હરણજી।।૧।।

ઢાળ-

હરે અઘના ઓઘને, છે એવું પરમ પાવન । જેજે જનએને આશર્યા, તે સર્વે થયા ધન્ય ધન્ય ।।ર।।

ગોપીને ગોવાળ બાળ,ગાય ગોધા ને વત્સ વળી । અઘાસુર બકાસુર ને બકી, એહ આદ્યે બીજાં મળી ।।૩।।

કુબજયા વળી કંસ આદિ, શાલવ ને શિશુપાળ । એવાને અભય આપ્યું, બીજો એવો કોણ દયાળ ।।૪।।

પાંડવ ને પાંચાલી વળી, કુંતાસમ નહિ કોય । સૌનું શાસ્ત્રમાંહિ સાંભળ્યું, નેક નિર્દોષ ન હોય ।।પ।।

સુણી પુરાણે પરીક્ષા કરી, જાણું યથાર્થ જરૂર । કલંક રહિત કોઈ નહિ, કોણ ભકત અભકત અસુર ।।૬।।

પણ જેને સંબંધ શ્રી હરિતણો, તે પામ્યા પદ નિર્વાણ । એહ આદિ અનેક એવા, તેનું કેમ ન કહીયે કલ્યાણ ।।૭।।

દાસ અદાસના દોષને, જયારે જુવે જગજીવન । નિષ્કુલાનંદ હરિધામને, પામે નહિ કોઈ જન ।।૮।। કડવું ।।૧૭।।