નિગમ કહે છે વારતા નકીજી, જુઠી ન થાય કોઈ થકીજી ।

સર્વે પુરાણે પ્રમાણી પકીજી,  તે છે જગ છતી નથી એહ ઢાંકીજી ।।૧।।

ઢાળ-

ઢાંકી નથી એહ વારતા, છે પુરાણમાં પ્રસિદ્ધ । સાધન નરને ન મૂકવાં, રાખવાં ભલી વિધ ।।ર।।

વચન લઈ વા’લા તણું, કરવું પુરૂષપ્રયતન । વચન વડે વડાઈ છે, તે જાણજો તમે જન ।।।૩।।

વિધિ વામ વચને કરી, સરજે સંહારે સૃષ્ટિ સોય । શશિ સૂરમાં સમર્થપણું, તેહ વચન વિના નો’ય ।।૪।।

અહીંદ્ર ઈંદ્ર આદિ કઈ, જગમાંહી મોટા જેહ । મોટપ તેહ મહારાજથી, પામ્યા છે સહુ કોઈ એહ ।।પ।।

મહિમા જાણી મહાપ્રભુનો, નથી લોપતા વચન લેશ । તેણે કરીને તેહની, રહી છે મોટાઈ હમેશ ।।૬।।

ફેર પડયાનો ફડકો ઘણો, અતિ રહે છે ઉરમાંઈ । તેણે કરી તત્પર રે’છે, સર્વે સમે સદાઈ ।।।૭।।

એમ કરતાં અષ્ટમાં, એક બે જો અવળાં હોય । નિષ્કુલાનંદ નચિંત રહેવું, હરિશરણાગતને સોય ।।૮।। કડવું ।।૧૩।।