વળી પ્રભુ પ્રસન્ન કરવા કાજજી, બહુબહુ કર્યું મોરે ઋષિરાજજી ।
મોટેમોટે મહીશે મૂકયાં રાજસાજજી, તન સુખ સર્વે કરિયાં તાજજી ।।૧।।
ઢાળ-
તજયાં સુખ સંસારનાં, ભજયા શ્રી ભગવન । એની રીત સુણી શ્રવણે, થાય ત્રાહિત્રાહિ મન ।।ર।।
આરૂણીને ઉપમન્યુ, ઋષિ જાજળી તપસી જેહ । પ્રભુજીને પ્રસન્ન કરવા, ગણ્યું નહિ નિજદેહ ।।૩।।
મયૂર ધ્વજ ને મીરાં વળી, ભૂપ ભર્તૃહરિ ને ગોપીચંદ । સમસ્ત બરેજ ને ફરીદ, મનસુર ને બાજીંદ ।।૪।।
એહ આદિ અનેક બીજા, ઘણું રાજી કરવા ઘનશ્યામ । સુખ તજયાં શરીરનાં, અન્ન ધન ધરા ત્રિયા ધામ ।।પ।।
પંચ વિષયને પરહરી, થયા અરિ મન ઈંદ્રિતણા । પરલોકની પ્રતીત આણી, સહ્યાં કષ્ટ શરીરે ઘણાં ।।૬।।
ખોટ ન આણી ખપમાં, બાંધી મમત મહાસુખ માંઈ । તનસુખથી મન ઉતર્યું, ઠર્યું નહિ ચિત્ત કયાંઈ ।।૭।।
એવી રીત હરિભક્તની, પ્રભુ વિના બીજે પ્રીતિ નહિ । નિષ્કુલાનંદ નક્કી વારતા, હરિજનની વર્ણવી કહી।।૮।। કડવું ।।૧૧।।