રાજી કરવા પ્રગટ ભગવાનજી, સમાસમે સહુને રે’વું સાવધાનજી ।
મેલી જન મન તનનું માનજી, રાખવું હરિને રાજી કરવા તાનજી ।।૧।।
ઢાળ-
તાન એમ તને મને, રાજી કરવાને હરિકૃષ્ણ । અહોનિશ રહે આલોચના, જાણે કેમ પ્રભુ થાય પ્રસન્ન।।ર।।
તેને અર્થે તને કરી, કરે જપ તપ જોગ જગન । તીરથ વ્રત કરે વળી, રાજી કરવા ભગવન ।।૩।।
તેહસારૂં તાવે તનને, સહે કાયાયે કષ્ટ કોટ । પણ હરિભક્તની રીતમાં, આવવા ન દિયે ખોટ ।।૪।।
મેલી ગમતું નિજ મનનું, કરે ગમતું તે ગોવિંદતણું । જેમ વાળે તેમ વળે વળી, મૂકી મમત આપણું ।।પ।।
વા’લાના વચનનો, અતિ ઉર ઉંડો વિશ્વાસ । માહાત્મ્ય જાણી મહારાજનું, તજે અન્યસુખ આશ ।।૬।।
સુખ નર નિર્જરતણાં, સમઝે સ્વપ્ન સમાન । નિર્ભય સુખ જાણી નાથનું, તેહ પર રહે ઘણું તાન ।।૭।।
એને અર્થે આપણું, ગણે નહિ તન મન । નિષ્કુલાનંદ તે નરપર, પ્રભુ થાશે પ્રસન્ન ।।૮।। કડવું ।।૧૦।।