રાગ:- ધન્યાશ્રી
મંગળ મૂર્તિ શ્રીઘનશ્યામજી, શરણાગતના સદા સુખધામજી ।
પતિતપાવન પૂરણકામજી, અધમ ઉદ્ધારણ નિર્ભય નામજી ।।૧।।
ઢાળ-
નામ નિર્ભય નિગમ કહે, જે સમરતાં સંકટ ટળે । દુષ્કૃત જેહ દેહ ધારીનાં, તેહ પાપના પુંજ પળે ।।ર।।
પુરૂષોતમ પ્રગટનું, નામ નિર્ભય નિશાણ । જે જન જીભે ઉચ્ચરે, તે પામે પદ નિર્વાણ ।।૩।।
જે નામે પામી ગુણિકા ગતિ, થયો અજામિલનો ઉદ્ધાર । અગણિત એહ નામથી, પતિત પામ્યા ભવપાર ।।૪।।
કરી ખરી દીનતા કરી, કરી આર્તશું અરદાસ । અર્ધો શબ્દ ઉચ્ચારતાં, આવ્યા વા’રે અવિનાશ ।।પ।।
કામુકિની કરણી કશી, અજામિલ નહિ અઘહીણ । નારાયણના નામથી, થયા પાર પ્રિછો પ્રવિણ ।।૬।।
ત્રિલોકમાં તપાસતાં, નાવે નારાયણ નામ તુલ્ય । પતિતને પાવન કરવા, એ છે નિધિ અમુલ્ય ।।૭।।
જપ તપ તીર્થ જોગ જગન, વ્રત વિધિ દીયે વળી દાન । નિષ્કુલાનંદ નારાયણના, ના’વે નામ સમાન ।।૮।। કડવું ।।૧।।