માતાપિતાથી પામે પ્રાણી દેહજી, તેહમાં આવી વસે જીવ જેહજી ।

ન હોય કર્તવ્ય એહનું એહજી, એહના કારણ શ્રીહરિ તેહજી ।।૧।।

ઢાળ-

શ્રીહરિ વિના સમાજ એવો, કહોને કોણથી થાય । શ્રવણ નયન નાસિકા, દંત જીહ્વા કરી મુખમાંય ।।ર।।

હાથ પગ આંગળીયો, નખ શિખા મુવાળા મોછ । કીધો સમાજ સુખનો, કોઈ રીતે ન રાખી ઓછ ।।૩।।

વળી અંતઃકરણ ને ઈંદ્રિયો, પ્રાણવાયુ દશ પ્રકાર । એવું કરતાં કોઈને, ન આવડે નિરધાર ।।૪।।

કસર કોઈ વાતની, નારાયણે રાખી નથી । જુવો વિચારી જીવમાં, વળી વળી શું કહું કથી ।।પ।।

જીવ જાણે હું જોર છઉં, જે કરૂં તે કેમ ન થાય । પણ વિચારે આવી વાતને, તો જેમ છે તેમ જણાય ।।૬।।

માટે અસમર્થ આપણે, સમર્થ શ્રીભગવાન । એવું સમઝી અંતરે, મૂકવું કર્તવ્યનું માન ।।૭।।

કર્યું શ્રીકૃષ્ણનું થાય છે, જનથી ન થાય જરાય । નિષ્કુલાનંદ નિહાળીયે, ઉંડું અંતરમાંય ।।૮।। કડવું ।।ર૩।।