પત્નીનું પાલન કરે જેમ પતિજી, પ્રજાનું પાલન કરે છે ભૂપતિજી ।

સદ્ગુરુ શિષ્યને આપે સદ્દમતિજી, એહ રીત જાણો યુગોયુગ છતિજી ।।૧।।

ઢાળ-

છતિછે એ છાની નથી, હોય જેજે જેના આશ્રિત । તે તેનું પાલન કરે, એહ અનાદિની રીત ।।ર।।

આવડત ન હોય જો એહમાં, તો કરે વા’લપશું વાત । હૈયે હેત અતિ ઘણું, દેખાડે દિન ને રાત ।।૩।।

જેમ પડે એને પાધરૂં, એમ અખંડ કરે ઉપાય । પોતાના જાણી પીડા હરે, કરે સેવકની સા’ય ।।૪।।

તેમ ઘનશ્યામ જાણી ઘરનાં, કરે મે’ર હરે મહાકષ્ટ । એહ વારતા વેદ પુરાણે, સૂચવે છે જો સુસ્પષ્ટ ।।પ।।

પોતાના જાણી નવ પરહરે, કરે પ્રીતે કરી પ્રતિપાળ । અવગુણ ન જુવે અર્ભના, જેમ જનની જાળવે બાળ ।।૬।।

પશુ પંખી નર નિર્જર, સહુ સુતને પાળે સદાય । તેમ શ્રીહરિકૃષ્ણ કરે, સેવક જનની સા’ય ।।૭।।

નિરાધાર નારાયણ વિના, નર નિપજયા નહિ એક । નિષ્કુલાનંદ એહ વાતને, વિચારો કરી વિવેક ।।૮।। કડવું ।।રર।।