(રાગ:-ગરબી) ‘સહજાનંદ સિંધુ રે આજ મારે’ એ ઢાળ.

સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે, કાચાને નાવે કેદિયે કામ રે;

જેમ સાજો જમે રે સુંદર સુખડી રે, માંદાને મગઉદકે આરામ રે. . .સુખ

ચંદનની વાસે રે અલિ અલમસ્ત છે રે, મક્ષિકા દેખી રહે છે દૂર રે;

ગોળનું ગાડું રે ગીંગાને ગમે નહિ રે, જેને પ્રીત પુરીષશું ભરપૂર રે. ..સુખ ।। ર ।।

કુમુદિની કેદી રે ન પામે સુખ સૂરથી રે, ચકવા કે દી ચંદ્ર ન ચા’ય રે;

ઘણું અજવાળું રે ઘુડને ગમે નહિ રે, કોચવાઈ ગરે તે કોતરમાંય રે.. .સુખ ।। ૩ ।।

એમ સંત અસંતની રે જાણો રુચિ જૂજવી રે, સંત ભજે તજે તેને અસંત રે;

નિષ્કુળાનંદ રે નકી એ વારતા રે, સમજી લેવું એવું સિદ્ધાંત રે…સુખ ।। ૪ ।।