રાગ :- રામગરી
તીવ્ર વૈરાગ્ય તડોવડ્યે, ના’વે સો સો સાધન ।
જપ તપ તીર્થ જોગ જે, કરે કોઇ જન જગન; તીવ્ર૦ ।।૧।।
દાન પુણ્ય પાળે કોઇ ધર્મને, ગાળે હિમાળે તન ।
પ્રભુ પ્રસન્ન કર્યા કારણે, જગમાં કરેછે જન; તીવ્ર૦ ।।૨।।
પણ બૃહત વૈરાગ્ય વિના વાયદા, પ્રભુ પામવા કાજ ।
અવર બીજા ઉપાયથી, રાજી નો’યે મહારાજ; તીવ્ર૦ ।।૩।।
બૃહત વૈરાગ્યથી નથી વેગળા, અલબેલો અવશ્ય ।
નિષ્કુલાનંદ નજીક છે, બૃહત વૈરાગ્યને વશ્ય; તીવ્ર૦ ।।૪।। પદ ।।૪।।