રાગ :- રામગરી

નિર્ભય ચરણ છે નાથનાં, સેવો શ્રદ્ધાએ સંત ।

અવર ઉપાય અળગા કરી, સમઝો સાર સિદ્ધાંત; નિર્ભય૦ ।।૧।।

સુણી સુખ લોકાલોકનાં, શીદ કરો છો શોચ ।

એતો ઉદંબરે ફળ વળગ્યાં, થડથકી તે ટોચ; નિર્ભય૦ ।।ર।।

એમ વળગ્યા વિષય પાંચમાં, નર સુર અજ ઈશ ।

અધિક ન્યૂન એમાં નથી, રવિ શશિ સુરેશ; નિર્ભય૦ ।।૩।।

માટે ઉંડું વિચારી અંતરે, ખરી કરવી ખોળ્ય ।

નિષ્કુલાનંદ પ્રભુપદ પખી, જયાં જયાં જાય ત્યાં રોળ; નિર્ભય૦ ।।૪।।  પદ ।।૧।।