રાગ :- ધન્યાશ્રી

વૈરાગ્યવાનનું વર્તવું વખાણુંજી, જેને માયિક સુખ સૌ સરખું જણાણુંજી

લોકાલોકે જેનું મન ન લોભાણુંજી, એક હરિચરણે ઠીક મન ઠેરાણુંજી ।।૧।।

રાગ :- ઢાળ

ઠેરાણું ચિત્ત હરિચરણે, તેણે કરી તન સુખ ત્યાગ છે । સારૂં નરસું સરખું થયું । જેને ઉર અતિ વૈરાગ્ય છે ।।ર।।

ખાતાં ન થાય ખરખરો, જેવું અન્ન જડે તેવું જમે । સુકું લુખું સ્વાદુ નિરસ્વાદુ, ખાઈને દિન નિગર્મે ।।૩।।

જળ દળ ફળ ફૂલ જમી, સદાયે મને રહે સુખી । વૈરાગ્ય જેને ઉર ઉપજે, તે સહુ વાતે રહે સુખી ।।૪।।

ફાટયાં તુટયાં વિણિ વિથીથી, ઘણા ચીરાની કંથા કરે ।  શીત ઉષ્ણ નિવારવા સારૂં, એવી અંગે ઓઢી ફરે ।।પ।।

સુવા ન શોધે સાથરો, સુંદર સુંવાળી જાગ્ય ।  સમ વિષમ સમ સમઝે, જેને તન સુખનો છે ત્યાગ ।।૬।।

રાત દિવસ હૃદયા વિષે, દઢ રે’છે હરિનું ધ્યાન ।  તેણે કરી નથી આવતું, અણુભાર અંગે અભિમાન ।।૭।।

કોઈક નંદે કોઈક વંદે, કોઈ ના’પે આપે ખાવા અન્ન । કોઈ ગૃદ પથર ગોબર નાખે, તોય સદા રાજી રહે મન ।।૮।।

એવી વૈરાગ્ય વિનાની વિપત્તિ, કહો કોણ સહિ શકે શરીર । વેષ લિધે વૈરાગ્યને જાણો, કેમ ધરાયે ધીર ।।૯।।

વારિવારિ જાઉં એ વૈરાગ્યને, જેણે જગસુખ દુઃખ જાણ્યું સહી ।  નિષ્કુલાનંદ નિરવેદ જેવું, બીજું હોય તો દેખાડો કહી ।૧૦।  કડવું ।।૯।।