કથી નથી કે’વાતું કડવું લગાડીજી, ચોખા ચોખું ચોકસ પાંતિયા પાડીજી
આવે અવસરે જે વરતે છે અનાડીજી, તેને કે’તાં ડરતાં રે’વાએ દાડીજી
દાડી રે’વાયે ડરતાં, સાચું કે’તાં ઊપજે કલેશ ।। જેને આઠે અંગે તો કુસંગ છે, છે સતસંગનો તો વળી લેશ ।। ર ।।
જેમ નર્તક નર નારી થયો, પણ ઘર કેનું ચલાવશે ।। તેને જાણે છે જે યોષિતા, એ વાત બંધ કેમ બેસશે ।। ૩ ।।
વૈરાગ્યહીન ભકતહીન, અને ધર્મ તો ધરથી નથી ।। તેને વાતો ત્યાગની, શીદ કહીને મરિયે મથી ।। ૪ ।।
ઝાઝું કે’તાં જોખો ઊપજે, તેને કે’વું તે કળે કળે ।। સે’જે સે’જે કામ સારવું, પણ બહુ તો ન બોલવું બળે ।। પ ।।
જેમ સિંહ સમીપે બકરી, તે બીતી બીતી બોલી શકે ।। તેમ અનાડી નરને આગળે, કેમ બોલાએ વણ તકે ।। ૬ ।।
જેમ કાળા સર્પના કંડિયા, તે ઢાંકી રાખવા ઢાંકણે ।। તેને ઉઘાડતાં દુઃખ ઊપજે, રખે ઉઘાડતા ભોળાપણે ।। ૭ ।।
જેમ સાવજનું સાધુપણું, મર્કટ મુખે લીધા લગે ।। તેમ અસાધુ સાધુ થઈ, સાધુને સેવાએ ઠગે ।। ૮ ।।
એ પણ વાત ઓળખવી, અતિ રે’વું નહિ અજાણ ।। જેમ વ્યાઘ્ર લોટે ઊંટ આગળે, પણ લઈ લેવા છે પ્રાણ ।। ૯ ।।
ખરી વાત એ ખોટી નથી, સાચી માનજો સર્વે સહી ।। નિષ્કુળાનંદ કહે નથી કહ્યું, અંતરમાં ઈર્ષ્યા લઈ ।। ૧૦ ।।