સંત અસંતની રીત જૂજવીજી, ભેળાં ન ભળે જેમ રાત ને રવિજી

એમ કહે છે સહુ અનુભવીજી, વિધે વિધે વાત તેની કહું વર્ણવીજી

વર્ણવી તેની વાત કહું, હરિદાસ અદાસ દોઈની ।। રાગી ત્યાગીની રીત ભેળી, ભળે નહિ કોઈ કોઈની ।। ર ।।

એક સુખ ઇચ્છે શરીરનાં, એક ન ઇચ્છે સુખ શરીરનું ।। એક ઇચ્છે નિરસ અન્નને, એક ખાવા ઇચ્છે ખીરનું ।। ૩ ।।

એક ઇચ્છે પુરાણું પટ પે’રવા, એક ઇચ્છે અંબર નવીન ।। એક ઇચ્છે અંતરે રે’વા ઊજળા, એક રહે મને મલીન ।। ૪ ।।

એક ઇચ્છે લેવા સુખ લોકનાં, એક લોકસુખ તે લેખે નહિ ।। એક ઇચ્છે માયિક મોટપને, એક માયિક મોટપને દેખે નહિ ।। પ ।।

એક ઇચ્છે જગ જાણિત થાવા, એક ઇચ્છે થાવા અછતું ઘણું ।। એક ઇચ્છે માન વધારવા, એક ઇચ્છે નિરમાનીપણું ।। ૬ ।।

એક ઇચ્છે છે પદાર્થ પામવા, એક કરવા ઇચ્છે છે ત્યાગ ।। એક ઇચ્છે છે અલપ સુખને, એકને અલપ સુખ છે આગ ।। ૭ ।।

એક ઇચ્છે રે’વા અરણ્યમાં, એક ઇચ્છે વસ્તીમાંહિ વાસ ।। એક ઇચ્છે વિષયસુખ માણવા, એક એ સુખથી છે ઉદાસ ।। ૮ ।।

એમ ભકત અભકતના ભાવને, જુદા જાણજો જરૂર ।। એકને ન ભળવું ભીડમાં, એકને રે’વું હરિશંુ હજુર ।। ૯ ।।

એમ દાસ અદાસ દોયને, ભેળું રે’વામાં ભારે રોળ છે ।। નિષ્કુળાનંદ નથી કે’વાતું, પણ તપાસે દુઃખ અતોળ છે ।। ૧૦ ।।