રાગ :- ધન્યાશ્રી

બૃહત વૈરાગ્ય છે વણમૂલું ઘરેણુંજી, સર્વથી સરસ સદા સુખદેણુંજી ।

પે’રતાં ઉતરે માથેથી ભવ મે’ણુંજી, તે પામિયે હોય પૂરણ જો લે’ણુંજી ।।૧।।

રાગ :- ઢાળ

પૂરણ લે’ણે એ પામિયે, અંગે એવું આભૂષણ । તે શોભાડે સર્વે રીતશું, પમાડે પ્રભુ તતક્ષણ ।।૨।।

જેજે શોભ્યા આ જગ્તમાં, તેતો સર્વે એ ઘરેણે ઘણું । પણ શુદ્ધ વૈરાગ્ય વિના સુર નરનું, પાણી ન રહ્યું મુખતણું ।।૩।।

વૈરાગ્ય વિના આ વિશ્વમાં, અન્ય શોભાએ જે શોભ્યા ઘણા । વણ વૈરાગ્યે જક્ત કર્તા હર્તા, લાગ્યા અતિશે લજામણા ।।૪।।

શુદ્ધ વૈરાગ્યે શોભા ઘણી, હરિજનની જાણો જરૂર । વૈરાગ્ય વિના લાગે વરવું, એ પણ વિચારવું ઉર ।।૫।।

વૈરાગ્યવાન વા’લા હરિને, સામું જોઇને સરાયે અતિ । વણ વૈરાગ્યવાન વિલોકિને, હરિ રાજી નથી થાતા રતિ ।।૬।।

શુક ભરત સનકાદિક શોભ્યા, બૃહત વૈરાગ્ય ઘરેણે ઘણું । જનક જયદેવ કદરજનું કહું, મુખ લાગ્યું સોયામણું ।।૭।।

જો ધરો તો અંગે ધરજો, શુદ્ધ વૈરાગ્યરૂપ શણગાર । તો હેતે કરિ હરિ રીઝશે, નિશ્ચે જાણો નિરધાર ।।૮।।

કોઇ સો સો શણગાર સજે શરીરે, કાછ શૃંખલા કથિરના । પણ કંચન વિના કેમ કહિયે, એ શોભાડનારા શરીરના ।।૯।।

તેમ સારામાં સારૂં ઘરેણું, સુવર્ણ કહે શિરોમણિ । નિષ્કુલાનંદ બૃહત વૈરાગ્યની, મોટપ્ય નથી જાતિ ગણી ।।૧૦।। કડવું ।।૧૬।।