રાગ :- ધન્યાશ્રી

તીવ્ર વૈરાગ્ય છે સુખની સીમાજી, અતિ આનંદ રહ્યો છે તેમાંજી ।

અણું એક ભાર નથી દુઃખ એમાંજી, તે તો તેહ જાણે જન પ્રગટયો છે જેમાંજી ।।૧।।

રાગ :- ઢાળ

જેને પ્રગટયો તે જન જાણે, બીજા શું વખાણે વાણિયે । વણ દીઠે કરે વારતા, તે પૂરી કેમ પ્રમાણિયે ।।ર।।

પણ જેના પંડયમાં પ્રગટયો, તીખો તીવ્ર વૈરાગ્ય । તેહના અંગમાંહિ ૨અજાનો, રે’વા તે ન દિયે ભાગ ।।૩।।

જેમ કંચનને કુંદન કરતાં, તેને જાણજો જોયે તાપ । તેમ તીવ્ર વૈરાગ્યના તાપથી, શુદ્ધ થાય અંતર આપ ।।૪।।

વિશલ્યકર્ણિ ઔષધિવડે, શલ્ય નિસરી જાયે શરીરથી । તેમ તીવ્ર વૈરાગ્ય તેણે કરી, જાયે વિષયશલ્ય અચિરથી ।।પ।।

જેમ સુરાખારને અરઘે કરી, ગોળી ગળિને નિસરે બાર । તેમ તીવ્ર વૈરાગ્યના વેગથી, રહે નહિ વિષય વિકાર ।।૬।।

સુખ દુઃખના શલ્ય શરીરે, ક્ષણુંક્ષણુંએ ખટકે ખરાં । તે તીવ્ર વૈરાગ્યના વેગ વિના, પંડયમાંથી ન થાય પરાં ।।૭।।

સુતાં બેઠાં ચાલતાં, શલ્ય સૂક્ષ્મ સણકા કરે । તે બૃહત વૈરાગ્ય વિના, કોયેથી પણ નવ નિસરે ।।૮।।

બા’રના દરદની ઔષધિ, કાષ્ટ ધાતુની કે’વાય છે । પણ તીવ્ર વૈરાગ્ય ટાળી, અંતર દુઃખ કાંયે જાય છે ? ।।૯।।

તીવ્ર વૈરાગ્ય તન મનને, શોધિને કરે છે શુદ્ધ । નિષ્કુલાનંદ એ સુખનિધિ છે, એમ કે’છે સંત સુબુદ્ધ ।।૧૦।। કડવું ।।૧૪।।