રાગ :- ધન્યાશ્રી
ભગવંતને ભજશે નર નિરમોઈજી, જેને હરિવિના વા’લું નથી કોઈજી ।
અખંડ રહ્યાછે હરિને જોઈજી, એવા જન જેહ તેહ હરિના હોઈજી ।।૧।।
રાગ :- ઢાળ
હરિના જન તેણે જાણિયે, જે છતિ મતિયે ઉન્મત્ત રહ્યા । વિવેકી પણ વૈરાગ્યવડ્યે, જાણતાં અજાણ થયા ।।૨।।
શ્રવણ છે પણ નથી સુણતા, દૃગ છે પણ ન દેખે રૂપ । ત્વચા છે પણ નથી જાણતા, શીત ઉષ્ણનું તે સ્વરૂપ ।।૩।।
જિહ્વા છે પણ નથી જાણતા, ષટ રસ ખાવાની રીત । વળી વચને કરી નથી વદતા, જે જાણી વાણી અનિત્ય ।।૪।।
પગ છે પણ નથી ચાલતા, કર છે પણ ન કરે કામ । નાસા છે પણ નથી સુંઘતા, સહુ આળસી પામ્યાં છે આરામ ।।૫।।
મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે, તે અંતઃકરણ કહેવાય । અતિ થયાંછે આળસુ, અસત્ય મારગ માંય ।।૬।।
વૈરાગ્યે લિધિ ર્વિતયો વાળીને, સમેટીને સર્વે માંયથી । તે રાખી હરિના રૂપમાં, તે મુકી બીજે જાતિ નથી ।।૭।।
જે પરવરી ગઇતી પદાર્થમાં, વૃત્તિ થઈ તે વિષયાકાર । તે વાળી પાછી આણી અંતરે, તેતે નિરવેદથી નિરધાર ।।૮।।
નિરવેદ વિના ખેદ પામે, અંતર ને નિરંતર બા’ર । દેવ અદેવ ને ઋષિ રાજવી, પશુ પન્નગ ને નર નાર ।।૯।।
એક વૈરાગ્ય બીજી વજ્રમણી, તેને તપાવી ન શકે કોઈ તાપ । નિષ્કુલાનંદ શીતળ સદા, વૈરાગ્ય વજ્રમણી આપ ।।૧૦।। કડવું ।।૧૧।।