(રાગ:-ધોળ) ‘સંત વિના સાચી કોણ કહે’ એ ઢાળ.
ભાગ્ય જાગ્યાં આજ જાણવાં, કોટિ થયાં કલ્યાણ;
ઉધારો ન રહ્યો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ.. ભાગ્ય ।। ।।
અનાથપણાનું મે’ણું ઊતર્યું, સદા થયા સનાથ;
ડર ન રહ્યો બીજા દેવનો, ગ્રહ્યો હરિયે હાથ.. ભાગ્ય ।। ર ।।
કંગાલપણું કે’વા ન રહ્યું, સદા મનાણું સુખ;
મસ્તી આવી રે અતિ અંગમાં, દૂર પલાણાં દુઃખ.. ભાગ્ય ।। ૩ ।।
અણસમજણ અળગી થઈ, સમી સમજાણી વાત;
પાંપળાં સર્વે પરાં પળ્યાં, મળ્યા શ્રીહરિ સાક્ષાત.. ભાગ્ય ।। ૪ ।।
કસર ન રહી કોઈ વાતની, પામ્યા પ્રભુ પ્રગટ પ્રસંગ;
ખોટ્ય મટીને ખાટ્ય થઈ, રહી ગયો છે રંગ.. ભાગ્ય ।। પ ।।
ભૂધર મળતાં ભલું થયું, ફેરો ફાવ્યો આ વાર;
સુખતણી સીમા શી કહું, મને મોદ અપાર.. ભાગ્ય ।। ૬ ।।
આજ આનંદ વધામણાં, હૈયે હરખ ન માય;
અમળતી વાત તે આવી મળી, શી કહું સુખની સીમાય.. ભાગ્ય ।। ૭ ।।
આજ અમૃતની એલી થઈ, રહી નહિ કાંઈ ખોટ;
એક કલ્યાણનું કયાં રહ્યું, થયાં કલ્યાણ કોટ.. ભાગ્ય ।। ૮ ।।
રાંકપણું તો રહ્યું નહિ, કોઈ મ કે’શો કંગાલ;
નિરધનિયા તો અમે નથી, મહા મળ્યો છે માલ… ભાગ્ય ।। ૯ ।।
કોણ જાણે આ કેમ થયું, આવ્યું અણચિંતવ્યું સુખ;
ઢાળો અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિ મુખોમુખ.. ભાગ્ય ।। ૧૦ ।।
ધન્ય ધન્ય અવસર આજનો, જેમાં મળિયા મહારાજ;
નિષ્કુળાનંદ ડંકો જીતનો, વાગી ગયો છે આજ.. ભાગ્ય ।।।।
ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિ વિરચિતા સારસિદ્ધિ સંપૂર્ણ ।