પરમ ધર્મે કરી હરિને ગમવુંજી, ગમતું જોઈને દેહને દમવુંજી

તેમાં સુખ દુઃખ આવે તે ખમવુંજી, ભૂલી બીજી વાતે કેદી ન ભમવુંજી

ભમવું નહિ ભોળાપણે, રે’વું આગન્યાને અનુસાર ।। સર્વે ધર્મ તેણે સાચવ્યા, નિશ્ચે કરી નિરધાર ।। ર ।।

આગન્યામાં વસ્યા અહોનિશ રહી, જેમ વાળે તેમ વળવું ।। તર્ક ન કરવો તને મને, શ્રદ્ધાએ સેવામાં ભળવું ।। ૩ ।।

જેમ કહે તે જગદીશ જીભે, તેમ કરે તે કરભામીને ।। કેડે ન રહ્યું તેને કરવું, બેઠા પરમ ધર્મ પામીને ।। ૪ ।।

બેસ કહે તો બેસવું, ઊઠ્ય કહે તો ઊઠવું વળી ।। ચાલ્ય કહે તો ચાલવું, સુણી વચનને જાવું મળી ।। પ ।।

બોલ્ય કહે તો બોલવું, રહે મુન્ય કહે તો રે’વું મુન્ય ।। આગન્યાથી ઉપરાંત બીજું, જાણવું નહિ પાપ પુણ્ય ।। ૬ ।।

જેણે વચનમાં રે’વાનું દઢ કર્યું, તેણે ધર્મ ધર્યા છે સઘળા ।। તેહ વિના બીજા ધર્મ તે તો, પાપની પ્રજળી પળા ।। ૭ ।।

શુદ્ધ ધર્મ શ્રીમુખની વાણી, કહી છે જેને કરુણા કરી ।। એવી રીતે રૈ’યે તૈયે, જાણો શુદ્ધ ધર્મ રહ્યા ધરી ।। ૮ ।।

ધર્મ ધર્મ સહુ કોઈ કહે, પણ ધર્મમાં બહુ મર્મ છે ।। પ્રગટ પ્રભુનાં વચન પાળે, એથી મોટો કોઈ ધર્મ છે ।। ૯ ।।

હરિ કહે તેમ હાથ જોડી, ચોક્કસ કરવા છે ચિત્તમાં ।। નિષ્કુળાનંદ તેમાં સમ વિષમને, ધારવું નહિ ધર્મની રીતમાં ।। ૧૦ ।।