રાગ :- ધન્યાશ્રી

સર્વે વાતનું શોધી લીધું સારજી, નથી કોઇ બૃહત વૈરાગ્યની હારજી ।

અંતર વિચારિયું વારમવારજી, શુદ્ધ વેરાગ્ય તો સૌને પારજી ।।૧।।

રાગ :- ઢાળ

શુદ્ધ વૈરાગ્ય પાર સહુને, નથી એથી અધિક કોઇ એક । વાંધો ન રહે કોઇ વાતનો, જો આવી ઉપજે ઠીકોઠીક ।।૨।।

શાસ્ત્ર સર્વે સાંભળ્યાં, તેમાં છે ચ્યાર પ્રકારની વાત । ધર્મ અર્થ કામનું કહ્યું, માંહી મોક્ષનું પણ સાક્ષાત ।।૩।।

પણ બૃહત વૈરાગ્ય વિસ્તાર વિના, થોડે ઠેકાણે લખ્યો લહી । પણ તીખા તીવ્ર વૈરાગ્યની, વાત પુરી પુરાણે નવ કહી ।।૪।।

ખાન પાન વળી વિષય સુખનું, ઠામોઠામ સ્થાપન કર્યું । હરખ શોકને હાર્યા જિત્યા, એ સાંભળતાંમાં શું સર્યું ।।૫।।

આખી અવનિમાં એકનું, કહ્યું ઉદય અસ્તલગી રાજ । સુખ દુઃખ તેનાં સુણતાં, કહો શું સરિયું કાજ ।।૬।।

આખા જગતમાં એવી વાતો, ઘરોઘર ઘણી ગવાયછે । પણ નર અમર નિશાચર, બૃહત વૈરાગ્યને કોઇ ચા’યછે ? ।।૭।।

વૈરાગ્ય માગવો વિકટ છે, જેમ નાખવો કળેજે હાથ । જીવવા ન દિયે જીવથી, રે’વા ન દિયે કોઇનો સાથ ।।૮।।

જેને મરવાનું હોય મનમાં, તે માગજો બૃહત વૈરાગ્ય । તે અક્ષરથી આણી કોરે, રે’વા ન દિયે જાગ્ય ।।૯।।

એતો મરજીવાનો માર્ગછે, હોય મરજીવા તે માંડે પગ । નિષ્કુલાનંદ એ જેને પ્રગટે, તેને સર્વે ચડી જાયે સગ ।।૧૦।। કડવું ।।૨૦।।