રાગ-ધોળ:-મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ.

સંત સાચા તે સંસારમાં, રહે હરિવચને હમેશ રે;

આપત્કાળ જો આવે આકરો, તોયે વચન લોપે નહિ લેશ રે.    સંત૦ ।। ૧ ।।

અખંડ પાળે જો હરિઆગન્યા, ઇચ્છે નહિ આ લોકના સુખ રે;

દેહ અભિમાનને દૂર કરી, સદા રહે હરિસન્મુખ રે.    સંત૦ ।। ર ।।

મરજી ન લોપે મહારાજની, આવે અંગે દુઃખ જો અતોલ રે;

સાબિત કીધી છે સાટે શીશને, ખરી કરી મનમાંય ખોળ રે.સંત૦ ।। ૩ ।।

એવું એક અંગ રંગ ઊતરે નહિ, એક રે’ણી કે’ણી ટેક એક ઉર રે;

નિષ્કુળાનંદ કહે એવા સંતને, દરશને થાયે દુઃખ દૂર રે. સંત૦ ।। ૪ ।।