રાગ-ધોળ:-આજ મારે ટાણું આવ્યું છે મહાસુખનું’ એ ઢાળ.

સંતો વિમુખ થકી રહીએ વેગળા, ડરિયે દિવસ ને રાત રે;

સંતો વિશ્વાસ કરતાં વિમુખનો, વણશી જાયે જો વાત રે.  સંતો૦ ।। ૧ ।।

સંતો વિમુખ વિખ આપે વાતમાં, કરી હેત અપાર રે;

સંતો રગરગમાં તે રમી રહે, ન રહે વચનનો ભાર રે.   સંતો૦ ।। ર ।।

સંતો સોબત ન ગમે પછી સંતની, વા’લા લાગે વિમુખ રે;

સંતો નિયમ ન ગમે નાથનાં, માને મોકળે સુખ રે.   સંતો૦ ।। ૩ ।।

ત્યારે કરવાનું છે તે કયાંથી કરે, થાયે ન કર્યાનું કામ રે;

કહે નિષ્કુળાનંદ નિશ્ચે નર, ન પામે સુખ ઠામ રે.  સંતો૦ ।। ૪ ।।