રાગ:ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના’ એ ઢાળ.

જરૂર જાણજો જન જીવમાં, પામવું છે પરમ આનંદ રે;

જે રે આનંદ જાય નહિ કહ્યે, સદા સર્વે સુખનું છે કંદ રે…જરૂર૦ ૧

અચળ અખંડ એનું નામ છે, અક્ષર અનંત અનુપ રે;

જે એ પામે તે પાછો નવ પડે, એવું છે એ સત્ય સ્વરૂપ રે…જરૂર૦

આવે નહિ એકે જેને ઉપમા, જડે નહિ બીજી જેની જોડ રે;

શોધતાં ન મળે સંસારમાં, ત્રિલોકે નહિ તેની તડોવડ રે…જરૂર૦

મહા મોટું સુખ માની મનમાં, મોટા મોટા મૂકી ચાલ્યા રાજ રે;

તે તો સુખ મળે છે સે’જમાં, સત્સંગમાંહી રે’તા આજ રે…જરૂર૦

પૂરણ સુખને જયારે પામિયે, ત્યારે ઝાઝી કરવી જતન રે;

સદાયે રહિયે એ સાચવતાં, જેમ રાંક સાચવે રતન રે…જરૂર૦

ગાફલપણે જો ઘણું ઘરમાં, જોતાં જોતાં થઈ જાયે જયાન રે;

માટે પ્રમાદપણું પરહરી, સદાય રે’વું જો સાવધાન રે…જરૂર૦

લાભ અલભ્યને લઈ કરી, બેઠા છીએ બેપરવાઈ રે;

સ્વામી સહજાનંદ સેવતાં, કસર રહી નથી કાંઈ રે…જરૂર૦

સદા રે’વું મનમાં મગન થઈ, કેદિયે ન માનવું કંગાલ રે;

નિષ્કુળાનંદ કહે નીલકંઠ મળ્યે, થયાં છીએ નિર્ભય નિયાલ રે…જરૂર૦

દોહા:-

આ ગ્રંથ અતિ અનુપમ છે, મુખ દેખાડવા દરપણ ।।

પણ હબશી મુખ જોઈ હૈયે, લિયે નહિ લગારે ગુણ ।। ૧ ।।

દેખી મુખ દુઃખિયો થઈ, કરે ગ્રંથ મુકુર  પર રોષ ।।

જેમ છે તેમ દેખાડિયું, ગ્રંથ દર્પણનો શો દોષ ।। ર ।।

ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિ વિરચિતઃ વચનવિધિઃ સંપૂર્ણઃ ।