રાગજકડી:- ‘વચન લોપી જાણે સુખ લેશું રે’ એ ઢાળ.

નહિ પામે પામર નર સુખ રે,

રહી હરિવચનથી વિમુખ રે… નહિ૦ ટેક.

સુખ પામશે સંત સુજાણ રે, જે કોય વર્તે છે વચન પ્રમાણ રે;

થઈ રહી વા’લાના વેચાણ રે… નહિ૦ ।। ૧ ।।

કર્યું ધ્વજપટ ઘટ મન રે, વળે જેમ વાળે છે પવન રે;

એમ માને વાલાનાં વચન રે… નહિ૦ ।। ર ।।

જેમ નરમ તૃણ નદી તટ રે, વારિ વેગે વળી જાય ઝટ રે;

તેને શીદને આવે સંકટ રે… નહિ૦ ।। ૩ ।।

એમ વચન વશ થઈ રહે રે, તે તો મોટા સુખને લહે રે;

નિશ્ચે નિષ્કુળાનંદ એમ કહે રે… નહિ૦ ।। ૪ ।।