રાગ-સિંધુ રામગ્રી:- ‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ.
સમજીને સમજુ રે, વા’લાં કરો હરિનાં વચન;
દેખી પેખીને દુઃખમાં, શીદ પરાણે પડિયે જન..સમજી૦ ।। ૧ ।।
જેને વચને વિઘન વિરમે, પામિયે પરમ આનંદ;
એવાં વચન જે ઉલ્લંઘે, તે તો કા’વે મૂરખ મતિમંદ. સમજી૦ ।। ર ।।
અસમર્થની જે આગન્યા, મનાયે ન મનાયે મન;
પણ સમર્થના વચનમાં, રહિયે રાજી થઈ નિશદિન..સમજી૦ ।। ૩ ।।
શ્રીહરિ રીઝવી સુખ લૈયે, ખીજવીને ન ખાય ખોટ;
નિષ્કુળાનંદ કહે ન કીજિયે, એવું લઈ અવરની ઓટ. સમજી૦ ।। ૪ ।।